વિચારહીન વ્યક્તિનો ભાગ્ય પણ સાથ
છોડી દે છે
-પુલક ત્રિવેદી
ઈજિપ્તની બે બાબત વિશ્વ પ્રસિદ્ધ. એક તો વિશ્વની મહાન અજાયબી પિરામીડ અને
બીજું ડૉ. તાહા
હુસૈનનું સાહિત્ય. ડૉ. તાહા હુસૈન ઈજિપ્તનું એક એવું નામ કે
જેણે ઈજિપ્તને વિશ્વમાં અલગ પહેચાન આપી. હુસૈન સૌથી પહેલા એવા ઈજિપ્શીયન હતા કે જેમણે
ફ્રાન્સમાંથી માસ્ટર્સ અને પી.એચ.ડી.ની બન્ને ઉપાધિઓ હાંસલ કરી. ડો. તાહા હુસૈનના લખાણો અને રચનાઓમાં
ઈજિપ્તની સંસ્કૃતિ અને ઇસ્લામના સંદેશને અસરકારક રીતે સ્થાન આપવામાં આવ્યું છે. તેમની ધારદાર શૈલીના કારણે તેમને
ક્યારેક રોષનો ભોગ પણ બનવું પડ્યું. પણ, આજે ડૉ. તાહા હુસૈનની સામાજિક ચેતનાસભર રચનાઓ કે
લખાણોની વાત કરવી નથી. આજે તો સામાન્ય પરિવારના બાળક તાહા કેવી રીતે ‘એક વિચાર’થી જીવન પલટાવીને વિશ્વ પ્રસિદ્ધ
વ્યક્તિ ડૉ. તાહા
હુસૈન બન્યા એની વાત માંડીને કરવી છે.
ઈજિપ્તમાં પણ ઘણાને ન ખબર હોય એવા નાનકડા ગામ લ્ઝબેટ
અલ કીલોમાં ડૉ. તાહા
હુસૈનનો જન્મ થયો. સાવ
સામાન્ય પરિવારના ૧૩ સંતાનો પૈકીનું હુસૈન સાતમું સંતાન. એક અણઘડ તબીબની સારવારની તાહા હુસૈનને
બહુ મોટી કિંમત ચૂકવવી પડી. માત્ર ત્રણ જ વર્ષની ઉંમરે હુસૈને દ્રષ્ટી
ગુમાવી અને અંધ બની ગયા. આના પરિણામ હુસૈનની જિંદગી અત્યંત કપરી અને મુશ્કેલ બની ગઈ. નાની-નાની બાબતોમાં બાળક હુસૈનને લોકોના
હડસેલા સહેવા પડતા. એ
અત્યંત વ્યગ્ર બની જતાં. એમને જીવન ખૂબ દુષ્કર લાગતું. હુસૈન સતત એમ વિચારતા કે, મને જીવવાનો કોઈ હક્ક નથી હું આ ધરતી
ઉપર બોજારૂપ છું.
દિવસે દિવસે બાળ હુસૈન જેમ જેમ વયસ્ક બનતા ગયા
એમ એમનો જીવન પ્રતિ આખો દ્રષ્ટિકોણ જ વિચિત્ર થઈ ગયો. એમને એમ જ લાગ્યા કરતું કે હું જીવનમાં
કશું હાંસલ કરી શકીશ નહીં. મારે સ્વેચ્છાએ જીવન સમાપ્ત કરી દેવું જોઈએ. મારી બધી મુશ્કેલીઓ અને વિડંબણાઓનું એક
માત્ર સમાધાન મારા જીવનનો અંત છે. એવા વિચારો હુસૈનના મનમાં દિનપ્રતિદિન વધુ ને
વધુ દ્રઢતા હાંસલ કરવા લાગ્યા.
હુસૈને જીવન છોડવાના સંકલ્પ સાથે એક દિવસ તેના
જીવનનો અંત આણવા માટે મુકરર કર્યો. હુસૈન આત્મહત્યા કરવા ચાલી નીકળ્યા. માર્ગમાં હુસૈનને એક ભલા વિચારક અને
ચિંતક એવા ઓલીયા ફકીરની મુલાકાત થઈ. આ ઓલીયા ફકીરે જીવનના અલગ અલગ ઉજ્વળ પાસાઓની
અંધ બાળક હુસૈનને ખૂબ સરસ વિચારપ્રેરક વાતો કરી. બે આંખે ન જોઈ શકતા બાળ હુસૈનને આ
ફકીરની વાતમાં જીવનના સાત રંગોનું મેઘધનુષી ચિત્ર ખડું થયું. ફકીર બાબાના જિંદગી પ્રત્યેના મેઘધનુષી
રંગો મન મસ્તિષ્કમાં ભરીને મરવા માટે નીકળેલો હુસૈન મનભરીને જીવન માણવાના મક્કમ
ઈરાદે પાછો વળ્યો. પાછો
વળેલો એ બાળક તાહા ઈજિપ્તના મહાન વિચારક ડૉ. તાહા હુસૈન બનવાના વિચાર બીજને સંજોરીને આવ્યો
હતો.
દ્રષ્ટી ન હોવાના કારણે જીવન બોજારૂપ લાગતુ
હોવાથી એનો અંત કરવા નીકળેલો બાળક ઈજિપ્તની શાન બન્યો. એક ભર્યા ભર્યા મજબૂત વિચારે ઈજિપ્તના
આસમાન ઉપર ડૉ. તાહા
હુસૈન નામનો સોનેરી
તારલો સજાવ્યો. ‘અલ-અય્યામ’ (ધ ડેયઝ) નામની ડૉ. તાહા હુસૈનની આત્મકથા દુનિયાભરના
લોકોને ‘મોટીવેશન’ આપી રહી છે. તેમની આત્મકથા અંગ્રેજીમાં ‘એન ઈજિપ્શીયન ચાઈલ્ડહુડ’ના નામે ૧૯૩૨માં પ્રસિદ્ધ થઈ. પછી તો ડૉ. તાહા હુસૈન ૧૯૫૦માં શિક્ષણ મંત્રી પણ
બન્યા. એ
જમાનામાં આ મંત્રાલય ‘મિનિસ્ટરી ઑફ નોલેજ’ કહેવાતુ. ‘સૌને શિક્ષણ અને શિક્ષણનો અધિકાર’નું સુત્ર ડૉ. હુસૈને ઈજિપ્તમાં પ્રચલિત કર્યું હતું. એ કહેતા કે શિક્ષણ એ પાણી અને હવાની
જેમ પ્રત્યેક માનવીએ મેળવવાનો અધિકાર છે. પછી તો આ બે આંખે જોઇ ન શકતા હુસૈને જે ગતીએ
પ્રગતિ કરી કે, પાછુ
વળીને જોયુ જ નથી. ઘણા
અખબારોમાં એમણે તંત્રીપદ પણ શોભાવ્યું. ઈજિપ્ત અને વિશ્વની ગણમાન્ય સાયંટીફિક એકેડેમિક
સંસ્થાઓના એ સભ્ય રહી ચૂક્યા છે.
ઈજિપ્તના ડૉ. તાહા હુસૈનની આખી આ વાતનો નિચોડ
જિંદગીની જીતના મૂળમાં મજબૂત વિચારની ચિનગારી છે. ગમે એવી કપરી અને ખરાબ પરિસ્થિતિમાં પણ
એક ઊર્ધ્વગામી વિચાર જીવનનું ‘ડાયમેન્શન’ જ બદલી નાખે છે. જીવનમાં ક્યાં કશું ચિરસ્થાયી હોય છે. જીવન તો ખળખળ વહેતા ઝરણા જેવું છે. નદી બનવાના મજબૂત વિચાર સાથે વહેતુ
ઝરણું હકારાત્મકતાનું મઝાનું પ્રતીક છે. ચડતી અને પડતી તો આવે. પણ પડતી વેળા થથરીને અંત સમજવામાં
શાણપણ નથી. જીવનમાં
કોણ સંઘર્ષ નથી કરતો હોતો ? બધા જ એક યા બીજી મુશ્કેલી સામે બાથ ભીડતા જ
હોય છે. કોઈને
શારીરિક તો કોઈને આર્થિક, કોઈને માનસિક તો કોઈને સામાજિક પ્રશ્નો હોય છે. પ્રશ્નોની હારમાળા ક્યાં અટકે છે? પ્રશ્નો અને વિડંબણાઓને ૩૬૦ ડિગ્રીએ ફેરવીને
હકારાત્મક વિચારોની જડીબુટ્ટી સુંઘવી પડે.
એક મજબૂત વિચાર જીવનને સફળતાના લક્ષ્યભણી
પૂરપાટ દોડાવા માટેનું ઈંધણનું કામ કરતો હોય છે. બ્રિટીશ તત્વચિંતક સર જ્હોન હરગ્રેવે સરસ
વાત કરી છે કે, જ્યારે
આપણી પાસે આત્મવિશ્વાસથી ભર્યો ભર્યો મજાનો એક વિચાર હોય તો આપણે ખૂબ મોજ અને
મસ્તીથી જીવી શકીએ છીએ, અને જ્યારે આપણે મોજ અને મસ્તીથી જીવતા હોઈએ ત્યારે આપણે ‘એમેઝીંગ’ (અદભૂત) કામ કરતા હોઈએ છીએ. એ સાચું છે કે, જીવનમાં મોજ માટે મહત્વનો હોય છે આત્મવિશ્વાસ. પણ આત્મવિશ્વાસ માટેની માનસિક સજ્જતા
કેળવાય મજબૂત વૈચારિક શક્તિથી. આત્મવિશ્વાસને વધારવાનું શસ્ત્ર છે, હકારાત્મકતાથી ભરપુર વિચાર. નાની-નાની વાતમાં સુનિશ્ચિત કરેલા વૈચારિક
લક્ષ્ય મોટા પરિણામોના સર્જનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે.
એક વિચારથી બનતા આત્મવિશ્વાસના બળથી જ મનોબળ
મજબૂત બને છે. મજબૂત
ઈરાદાવાળા માર્ગ ઉપર જ્યારે ચાલીએ ત્યારે કંટકોની પરવા કરવી ન પાલવે. જીવન માત્ર જીવાય એ કેમ ચાલે, જીવન તો ઉજવાવુ જોઇએ. જીવનમાં પ્રતિદિન ઉત્સવનો ઉત્સાહ હોવો
જોઇએ. કંઇક
નવુ કરવાનો ઉમંગ હોવો જોઇએ. આનંદીત વ્યક્તિ સાથે આખી દુનિયા આનંદ કરે પણ
સોગીયા વ્યક્તિનો સાથ કોઇ ન આપે. વૈચારિક સંપદા હોય તો કાર્યની શરૂઆત પહેલા જ વિજયનો
અડધો રસ્તો કપાઇ ગયો એમ સમજવુ. જીવનમાં જીત માટેના બે જ માર્ગ છે. મચી પડવું પડે એ વિચાર પાછળ કે, જે હકારાત્મકતાનું ઉજ્જવળ આકાશ ઉડવા
માટે આપે.
ભૂલી જવો પડે એ વિચાર કે, જે નકારાત્મકતાના જાળા સર્જતો હોય. જાણીતા સર્જક અને ચિંતક બેન્જામીન
ફ્રેંકલીન કહેતા કે, જેની પાસે સારા વિચારોનું ધૈર્ય છે એ સફળતા પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિની આજ એના વિચારોનું પરિણામ છે. જ્યાં વિચારોનો શુન્યાવકાશ હોય અને
વિચારોનું ઘનઘોર અંધારું હોય ત્યાં બહારથી નવો બીજો અજવાળાનો ઉજાશ ક્યાંથી આવે? ૨૧મી સદીના મહાન લેખક વિલીયમ
સેક્સપીયરે લખ્યું છે કે, મન તો સફેદ કાપડ જેવું છે, જે રંગમાં ઝબોળો એ રંગ ચડી જાય. હકારાત્મક અને ઊર્ધ્વગામી વિચારોના
રંગમાં મનના સફેદ કાપડને ડુબાડી જીવનને હસીન-રંગીન બનાવવાની કળા આત્મસાત કરવાની મોજ
હોય. એમાં
પ્રયાસની ક્યાં જરૂર છે, એ તો આપો આપ થાય. હકારાત્મક વિચારહીન વ્યક્તિનો ભાગ્ય પણ સાથ
છોડી દેતું હોય છે.
ધબકાર –
ઉત્તમ વિચાર અને મહાન લોકો ક્યારેય
નથી મરતા.
00000000000000000



No comments:
Post a Comment