પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 15 November 2017

એ ૫૬ મિનિટ તો આખી દુનિયાના ૧૩૦ કરોડ લોકો બેબાકળા બની ગયા

૫૬ મિનિટ તો આખી દુનિયાના
૧૩૦ કરોડ લોકો બેબાકળા બની ગયા
-     પુલક ત્રિવેદી
નવેમ્બર ૩,૨૦૧૭. શુક્રવારનો એ દિવસ. બપોરના લગભગ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકો સાવ ઓશિયાળા બની ગયા. ૫૫-૬૦ મિનીટ માટે દુનિયા જાણે કે થીજી ગઈ. ભારત, અમેરિકા, બ્રિટન, વિયેતનામ, મ્યાનમાર, શ્રીલંકા, સાઉદી અરેબીયા સહિત વિશ્વના અનેક દેશના લોકો આ સમયગાળામાં હતપ્રભ બની ગયા. આની પાછળનું મુખ્ય કારણ બે કલાક માટે વોટ્સએપનું સર્વર ડાઉન થઈ ગયું હતું. લોકો વોટ્સએપ સેવાનો ઉપયોગ કરી શકતા ન હતાં.
વોટ્સ એપ વિનાની એ ૫૬ મિનિટમાં તો આખા વિશ્વમાં ઊહાપોહ મચી ગઈ. ભારતીય સમય અનુસાર નવેમ્બર ૩ના રોજ બપોરે ૧.૩૦ કલાકે લોકો બાઘા બનીને એકબીજાની સામું ડાફોળીયા મારતા હતા. સેલ ફોનના કી પેડ મચડી મચડીને એકબીજાને પૂછતા હતાં કે, ‘ યાર, તારે કનેક્ટીવીટી છે? વોટ્સ એપ ચાલે છે? ’ કોઈ ઉત્સાહીએ ગુગલ ઉપરથી શોધી કાઢ્યું કે, વોટ્સએપ સર્વર ઠપ થઈ ગયું છે. ગણતરીની સેકંડોમાં આ સમાચાર વાયુ વેગે વિશ્વ સમસ્તમાં ફરી વળ્યા. મોં વકાસીને બેઠેલા કોઈ કહેતાતા કે, ‘ વોટ્સએપ ખલાસ થઈ ગયું...વોટ્સએપ હેક થઈ ગયું...તો વળી કોઈએ કહ્યું કે, ઓવર મેસેજીંગને કારણે વોટ્સએપ સેવા ક્રેશ થઈ ગઇ...’ ઘણાં તર્કો અને ગપ્પાઓ આ છપ્પન મિનીટમાં પ્રારંભની પાંચ-સાત મિનિટમાં વહેતાં થઈ ગયાં. અને પછી એકાદ કલાકમાં વોટ્સએપ મેસેજીસથી એન્ડ્રોઇડ ફરી ધમધમવા લાગ્યાં ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. જાણે કે ઉગતા સુરજના પહેલાં કિરણોથી કળી ખીલીને પુષ્પ થઈને સુગંધ પ્રસરાવતી હોય એમ લોકોના મોઢા પર હાશકારો આવ્યો. ‘ ફૂલ ઓફ ઓકસીજન થી ફેફસાં ભરાય અને શરીર આનંદ અનુભવે તેમ લોકો પાછા મોજમાં આવી ગયા.
આ સમગ્ર ઘટનાનું જરા અલગ રીતે મુલ્યાંકન કરી જોઇએ. વાતના મૂળમાં એ છે કે, માનવીને માનવી સાથે હંમેશા કનેકટેડ રહેવું ગમે છે. સંબંધો માનવીનો સહજ સ્વભાવ છે. હજુ હમણાં એટલે કે, એક દસકો પણ નથી થયો વોટ્સએપને એન્ડ્રોઈડ ફોનમાં આવ્યાને. અને સંબંધોની પરિભાષા શીખવતી વોટ્સએપની દુનિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગઇ છે. બ્રાયન એકટોન અને જેમ કાઉમે યાહુમાંથી છૂટા થઈને ૨૦૦૯માં વોટ્સએપનો પ્રારંભ કર્યોસંબંધોને સાચવાના મૂળ સ્વભાવને બહેલાવતી અને સહેલાવતી આ એપ્લિકેશને જોતજોતામાં દુનિયાભરના ૧૩૦ કરોડ લોકોના મનમસ્તિસ્કમાં સંબંધોની સુવાસ ભરી દીધી છે. વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે, માનવી અનાજ લીધા વગર ૨૧થી ૨૫ દિવસ જીવી શકે. પાણી પીધા વગર ૩થી ૪ દિવસ રહી શકે. હવા-ઓક્સિજન વગર પાંચથી દસ મિનિટ જીવી શકે. પણ પૌરાણિક કાળથી આજના આધુનિક સમયમાં પણ અને કદાચ ભવિષ્યમાં યુગો સુધી વાસ્તવિકતા એ છે અને રહેશે કે માનવી સંબંધ વગર રહી શકતો નથી. માનવી માનવી વગર જીવી શકતો નથી. સંબંધો વગર પ્રતિ પળ એ ગુંગળાય છે. પાણી વગર માછલી તડપે એમ એ એક એક ક્ષણ છટપટાય છે.
વોટ્સએપ સંબંધો અને લાગણીઓને વહેવડાવતું જોરદાર માધ્યમ બની ગયું છે. કદાચ એટલે જ એ ૫૬ મિનિટનો વોટ્સએપ સેવા વગરનો સમય લોકોને ૫૬ યુગ જેવો અહેસાસ કરાવી ગયો. મજાની વાત એ છે કે, કઈ બાબતને કયા એંગલથી મુલવવામાં આવે છે. વોટ્સએપના દૂષણો અને વોટ્સએપના ફાયદાઓ બંને પાસા છે. સંબંધોની પરિભાષાને શબ્દોથી, તસવીરોથી, ઓડિયો-ઓડિયો વિઝ્યુલથી સજાવતી, સવારતી સુવાસિત કરતી વાતનો વિકાસ વોટ્સએપનો એક દ્રષ્ટિકોણ છે અને વોટ્સએપથી સમયનો દૂરૂપયોગ થાય ફેસ ટુ ફેસ ન મળી એન્ડ્રોઈડમાં જ ખૂંપ્યા રહેવાની વાત વગેરે વગેરે બીજો દ્રષ્ટિકોણ છે. સવાલ દ્રષ્ટિકોણનો છેવોટ્સએપ મેસેઝીસ સેવા કયા એંગલથી જોવાય છે એ અગત્યનું છે.
વિશ્વના ૧૩૦ કરોડ વોટ્સએપ યુઝર્સ અને એમાં પણ પ્રતિદિન ૧૦ લાખ યુઝર્સનો વધારો ઝીંકાતો જાય છે. રોજેરોજ ૬૨૦૦ કરોડ જેટલા મેસેજીસ અને ૪૨૦૦ કરોડ જેટલી તસવીરો વોટ્સએપ ઉપર સંબંધોને મજબૂતાઈ આપે છે. આ ઉપરાંત સંવેદનાને વાચા આપતાં ૧૨૫ કરોડ ઉપરાંત વિડીયો વોટ્સએપમાં પ્રતિદિન લાગણીઓનો ધોધ વહેવડાવે છે. પછી વિચારી જૂઓ કે એક મિનિટ પણ વોટ્સએપ અટકે તો શ્વાસ અટક્યા જેવું ન લાગે ? જીવ ગભરાવા ન લાગે ? માણસ બેબાકળો ન થઈ જાય?
જો કે વિશ્વના કેટલાક રાષ્ટ્રો એવા પણ છે કે, જેમણે વોટ્સએપની સેવાઓ અટકાવી પણ દીધી છે. જોકે એમણે પોતાની અલગ મેસેજીસ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની કોશિષશ પણ કરી છે. પણ એમાં માનવીય સંવેદના અને સંબંધોની સજાવટનું મૂળ તત્ત્વ જ રહેલું છે. ન્યુયોર્ક ટાઈમ્સના અક અહેવાલ અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭માં ચીનમાં વોટ્સએપ સર્વિસિસ લોક કરી દેવામાં આવી હતી. ઝીઓનીસ્ટ અમેરિકન ઝૂકર બર્ગે ફેસબુક સેવા સાથે વોટ્સએપ સેવાનુ ગઠબંધન કર્યું એટલે ઇરાન સરકારે મે ૯, ૨૦૧૪ના રોજ વોટ્સએપ સેવાનો ઉપયોગ ઇરાનમાં બંધ કરાવી દીધો. ટર્કીમાં રશિયન એમ્બેસેડર પર થયેલા હુમલાને કારણે ટર્કીમાં ટેમ્પરરી બેઈઝ ઉપર ૨૦૧૬માં વોટ્સએપ મેસેઝીસને બેનકરવામાં આવ્યા હતાં. બ્રાઝીલના મોબાઈલ પ્રોવાઈડર્સને ૪૮ કલાક માટે વોટ્સએપ મેસેજીસ રોકવા માટે ૧૭ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો. ખેર વોટ્સએપ સેવા ઉપર કોઇ પણ રાષ્ટ્ર પ્રતિબંધ લગાવી શકે છે પણ માનવીય લાગણી અને સંવેદના વ્યક્ત કરતી મેસેજીસ સેવા તો ચાલશે જ કારણ કે માનવીનો મુળત: સ્વભાવ ઇશ્વરે એકબીજાની સાથે કનેક્ટેડ રહીને ખુશ રહેવાનો બનાવ્યો છે. માનવી માનવી સાથે જોડાયેલો રહી હસવા માંગે છે. ખુશ રહેવા માગે છે. લાગણી વહેવડાવવા માગે છે. દુ:ખ વહેચવા માગે છે. એટલા માટે જ વોટ્સએપ હોય કે વાઇબર હોય મેસેજીસ દ્વારા સંદેશા વ્યવહાર અને પ્રત્યાયન(કોમ્યુનિકેશન)ની પરિભાષા અટકશે નહીં વિકસતી રહેશે.
કોમ્યુનિકેશનની દુનિયા મઝાની દુનિયા છે કોમ્યુનિકેશન વગર વિશ્વની પ્રગતિ શક્ય નથી. વોટ્સ એપ મેસેજીસ કમ્યુનિકેશનની દુનિયામાં એક વિરાટ પગલું છે. વોટ્સએપે માનવીના જીવનમાં અને કોમ્યુનિકેશનની દુનિયામાં સમુળગી ક્રાંતિ આણી છે. વિશ્વ પ્રસિધ્ધ લેખક વિલિયમ સેક્સપીયરે કોમ્યુનિકેશન માટે સરસ વાત કરી છે કે, લાઘવતાપૂર્ણ લખાણ એ પ્રત્યાયનનો પરમાત્મા છે. સેક્સપીયરની સંક્ષિપ્તિકરણમાં લખાણની વિચારધારાને અદભૂત અને સચોટ રીતે વોટ્સએપ દ્વારા ઉજાગર થતી હોય એમ લાગે છે. વોટ્સએપીયા મિત્રોને મોજ આવે એવુ જાણીતા લિખક જેમ્સ હ્યુમે કહ્યું છે કે, સંદેશાવ્યવહારનુ કૌશલ્ય નેતૃત્વ અને સંબંધો વિકસાવવાની અદભૂત કલા છે.

ધબકાર :

સાચા કોમ્યુનિકેશનની નિશાની... સમજી શકાય એવુ લખાણ અને ગળે ઉતારી શકાય એવી ચર્ચા



No comments:

Post a Comment