એ યુવાને જીજ્ઞાસાપૂર્વક પુછ્યું જીવન
આટલું જટીલ કેમ થઈ ગયું છે ?
- પુલક ત્રિવેદી
કલમ, કલા અને ક્રાંતિના ભવ્ય વારસાથી જ કોલકતા શહેર ઓળખાય. ૧૮મી સદીના કોલકતા શહેરની વાત છે. કોલકતા ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ વિશ્વભરમાં જાણીતું છે. અનોખી ઉજવણીઓના સાક્ષી કોલકતાના પ્રત્યેક પરાં રહ્યાં છે. કોલકતાના દરેક પરાની એક આગવી ઓળખ છે.
૧૮મી સદીના ઉતરાર્ધમાં કોલકતામાં કોટીસ ચર્ચ કોલેજના શિક્ષણ અને શિક્ષકોની ખૂબ બોલબાલા. ડો. વિલિયમ હેસ્ટી કોલેજના પ્રિન્સિપલ. એક દિવસ સવારની સેસનમાં પ્રિન્સિપલ હેસ્ટી તેમના ક્લાસમાં વર્ડ્ઝવર્થની ‘ધ એક્સરસન’ કવિતામાં ઉલ્લેખ કરવામાં આવેલા ‘ટ્રાન્સ’ શબ્દની ચર્ચા કરતાં હતાં ‘ટ્રાન્સ’નો સામાન્ય અર્થ ધ્યાન થાય. ડો. વિલિયમ હેસ્ટીએ એ વખતે કહ્યું કે, ‘ટ્રાન્સ’ શબ્દની સાચી અને ચોંટદાર સમજ દક્ષિણેશ્વરના રામકૃષ્ણ જેવી કોઇ ન આપી શકે.
પ્રિન્સિપાલ હેસ્ટીની આ વાત ક્લાસમાં બેઠેલા વિદ્યાર્ઓથીઓ પૈકી નરેન્દ્રનાથ દત્ત સહિત કેટલાક વિદ્યાર્થીઓને જબરજસ્ત રીતે મગજમાં ઉતરી ગઈ. ત્યારબાદ થોડા જ સમયમાં ૧૮૮૧ના અરસામાં સુરેન્દ્રનાથ મિત્રાના ઘરે રામકૃષ્ણ પરમહંસની એક ચર્ચા બેઠક યોજાઈ. આ ચર્ચા બેઠકમાં નરેન્દ્રનાથ દત્ત પણ હતા. યુવાન નરેન્દ્રનાથનો અવાજ ગહેરો, પહાડી અને સુરીલો. રામકૃષ્ણ પરમહંસની બેઠકમાં નરેન્દ્રનાથને ગીત રજૂ કરવા કહેવામાં આવતા નરેન્દ્રનાથે સુરીલા અવાજમા એક મઝાનું ગીત પ્રસ્તુત કર્યું. રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રનાથના આ ગીતને સાંભળીને પ્રભાવિત થઈ ગયા. એમણે નરેન્દ્રનાથને દક્ષિણેશ્વર આવવાનું નિમંત્રણ આપ્યું. નરેન્દ્રને તો ‘ભાવતુ હતુ અને વૈદે કહ્યું’ એવો ઘાટ થયો. એના મગજમાં પ્રિન્સિપલ હેસ્ટીની વાત સતત ઘુમરાતી હતી. એણે તરત જ રામકૃષ્ણ પરમહંસનું દક્ષિણેશ્વર આવવાનું નિમંત્રણ સ્વીકારી લીધું.
થોડાક જ દિવસોમાં આ યુવાન દક્ષિણેશ્વર પહોંચી ગયો. જ્યારે નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયો ત્યારે એના યુવા માનસમાં રામકૃષ્ણ પરમહંસને મળવા પાછળ અને વાત કરવા પાછળ વર્ડ્ઝવર્થની કવિતામાં પ્રયોજાયેલા ‘ટ્રાન્સ’ શબ્દની ચર્ચાની અભિલાષા હતી. એ વખતે આ સિવાય અન્ય કોઈ બીજો ખાસ હેતુ જ નરેન્દ્રનાથના મનમાં ન હતો. આમ તો નરેન્દ્રનાથ ખૂબ પ્રતિભાશાળી, પ્રબુદ્ધ પરંતુ નાસ્તિક પ્રકૃતિનો યુવાન. દક્ષિણેશ્વરમાં જઈને પહેલા તો એણે વર્ડ્ઝવર્થની કવિતાના સંદર્ભમાં ચર્ચા કરી. નરેન્દ્રનાથની રામકૃષ્ણ પરમહંસ સાથેની આ પહેલી મુલાકાતમાં કોઈપણ પ્રકારનો પ્રગાઢ સેતુ રચાયો ન હતો પરંતુ, એક વાત ચોક્કસ હતી કે, ૧૮૮૨નું એ વર્ષ નરેન્દ્રનાથના જીવનમાં ‘ટર્નીંગ પોઈન્ટ’ તરીકે દુનિયા આખી જોઈ રહી છે. મુલાકાતોના દોર વધતાં ચાલ્યાં. રામકૃષ્ણ પરમહંસે આ નાસ્તિક યુવાન નરેન્દ્રનાથ દત્તના જીવનને આધ્યાત્મિક ચેતના અને જ્ઞાનથી નવતર ઓપ આપવાનું શરૂ કર્યું. એમ કહી શકાય કે, નરેન્દ્રનાથ દત્તમાંથી સ્વામી વિવેકાનંદની યાત્રાનો ૧૮૮૨ના વર્ષથી આરંભ થયો.
એક સમયની વાત છે. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને સાહજિકતાથી પ્રશ્ન પૂછ્યો કે, ‘ સારા લોકોના જીવનમાં જ દુઃખના ઘનઘોર વાદળાં કેમ ઘેરાય છે ? ‘ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને ખૂબ સરળતાથી જીવનની ફિલોસોફીને સમજાવતાં કહ્યું હતું કે, ‘ હીરો ચારે બાજુથી અલગ અલગ રીતે ઘસાઈને અદભુત ચમક મેળવે છે. સોનાને પણ શુદ્ધ બનવા માટે ભયંકર આગની ભઠ્ઠીમાં તપવું પડે છે. સારા લોકોને દુઃખ નથી આવતું પરંતુ આ લોકો આ પરીક્ષામાંથી પસાર થઈને, અનુભવોનું ભાથું બાંધી, તેમનું જીવન વધુ સમૃદ્ધ અને રળિયામણું બનાવતાં હોય છે. આવા લોકો દુઃખથી ડરતા નથી. દુઃખનો મુકાબલો કરી એમાંથી માર્ગ કાઢીને આગળ વધે છે. કિસ્મતને કોસવાથી જીવન કષ્ટમય જ બને છે. ‘
સ્વામી વિવેકાનંદે સમયાંતરે પુછેલા પ્રશ્નોના રામકૃષ્ણ પરમહંસજીએ આપેલા ઉત્તરો જીવનઘડતર માટેના મુલ્યવાન સૂત્ર બની ગયા છે.
પ્રશ્ન – જીવન આટલું જટીલ કેમ થઈ ગયું છે ?
ઉત્તર – જીવનમાં શું ભલું અને શું બુરું એનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દો, જીવનને માત્ર જીવો.
પ્રશ્ન – આપણે દુઃખી કેમ હોઈએ છીએ ?
ઉત્તર – દુઃખી હોવું, અને બતાવવું એ બે બિલકુલ ભિન્ન બાબત છે.
પ્રશ્ન – સમસ્યાઓ આવે ત્યારે ખબર નથી પડતી આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ ?
ઉત્તર – સમસ્યાના સમયે બહાર ફાંફા મારવાથી માર્ગ મળે જ નહીં, અંતરમાં ડોકીયું કરવું જોઈએ તરત જ રાહ મળશે.
પ્રશ્ન – સફળતાની અને સંતોષની પરિભાષા શું છે ?
ઉત્તર - સફળતાની પારાશીશી દુનિયા નક્કી કરે છે જ્યારે સંતોષની માત્રા આપણે સ્વયં નક્કી કરતાં હોઈએ છીએ.
પ્રશ્ન – જીવનનો સંપૂર્ણ સંતોષ શો છે ?
ઉત્તર – જે મેળવ્યું છે એનો સંતોષ રાખવો અને જે નથી મેળવ્યું એની ગણતરી માંડવાની મૂકી દો.
પ્રશ્ન – ફરિયાદના સ્વરૂપ કેવા અને કેટલા છે ?
ઉત્તર – આપણે કષ્ટમાં ફરિયાદો કરીએ છીએ કે, ‘ હું જ કેમ ? ‘ અને સુખમાં બીજાને યાદ પણ નથી કરતાં. સૌથી સ્પષ્ટ આ જ સ્વરૂપ છે.
પ્રશ્ન – જીવનનું તાત્પર્ય શું છે ?
ઉત્તર – જીવનમાં કોઈપણ પ્રાર્થના બેકાર નથી જતી. જીવન એક રહસ્ય છે, અને આ રહસ્ય ઉકેલવાનું છે. જીવન એ કોઈ સમસ્યા નથી, કે તમારે એનુ સમાધાન કરતા રહેવાનું હોય.
પ્રશ્ન – જીવનનો અર્થ શો છે ?
ઉત્તર –જીવન અતિ સંભાવનાઓથી ભરેલું આશ્ચર્યજનક અને સુખદ તત્ત્વ છે.
જાન્યુઆરી તારીખ ૧, ૧૮૬૩માં જન્મેલા નાસ્તિક પ્રકૃતિના નરેન્દ્રનાથ દત્ત આગળ જતાં સ્વામી વિવેકાનંદના નામે એક મેઘાવી હિન્દુસ્તાની સંત તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા. રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન અને વેદાંત સોસાયટીના પાયા નાખનાર અને ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વ ધાર્મિક સંમેલનની સભા ગજવનાર સ્વામી વિવેકાનંદના દસ ચોંટદાર વિચારો ઉપર દેશ – વિદેશોમાં ખુબ ચર્ચાઓ થઇ છે અને એ વિચારો ઉપર થોકબંધ પૃથ્થકરણો થયાં છે.
· ભણવા માટે એકાગ્રતા જરૂરી, એકાગ્રતા માટે ધ્યાન જરૂરી અને ધ્યાનથી ઈંદ્રિયો ઉપર સંયમ કેળવાય છે અને એના દ્વારા એકાગ્રતાના પાઠ મળે છે.
· જ્ઞાન સ્વયં વર્તમાન છે. મનુષ્ય માત્ર એનો આવિષ્કાર કરે છે.
· ઊઠો જાગો અને ત્યાં સુધી ન અટકો કે જ્યાં સુધી લક્ષ પ્રાપ્ત ન થાય.
· જીવો ત્યાં સુધી શિખો, અનુભવ જ આ જગતનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.
· મિત્રતા, ધૈર્ય અને ઉદ્યમ આ ત્રણ ગુણ એક સાથે અને એક સમાન હોવા જરૂરી છે.
· લોકો ટિકા કરે કે પ્રશંસા લક્ષ્યથી ચલિત ન થવું.
· જે કામ જ્યારે કરવાનું નક્કી કરો ત્યારે એ કામ થવું જ જોઈએ.
· જ્યાં સુધી તમે તમારા ઉપર વિશ્વાસ ન કરી શકો ત્યાં સુધી ભગવાન ઉપર વિશ્વાસ નથી કરી શકાતો.
· એક સમયે માત્ર એક જ કામ કરવાનું રાખો.
· જીવનમાં જેટલો મોટો સંઘર્ષ હોય જીત એટલી જ શાનદાર હોય છે.
ધબકાર :
જ્યારે પ્રયાસ કરવામાં આવે ત્યારે તમામ બાબતો આસાન થઇ જતી હોય છે, પણ પ્રયાસ જ કરવામાં ન આવે ત્યારે દરેક બાબત અત્યંત કપરી બની જતી હોય છે.




No comments:
Post a Comment