પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 21 October 2019

આ દિવાળીમાં દુર્ગુણોની દિવાલ ઉપર સદગુણોનો મૂક્કો મારી દુર્ગુણોનો ભૂકો બોલાવી દો


આ દિવાળીમાં દુર્ગુણોની દિવાલ ઉપર
સદગુણોનો મૂક્કો મારી દુર્ગુણોનો ભૂકો બોલાવી દો

------------------------------

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું
સમજપૂર્વક સમષ્ટિનું સમતોલન કરી લઉં છું.
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું.
- અકબરઅલી જસદણવાલા

      જગત આંનદનો રંગમંચ છે. દીપોત્સવ ટાણે જીવનમાં મેઘધનુષી રંગોનું આકાશ રચાતું હોય છે. જગતને દિલોજાનથી ચાહવાનું હોય. મન મુકીને પતંગીયાની જેમ ઉડવાનું હોય. શરત બસ એટલી કે, માણસ બનવું પડે. જમીનના કઠણ પડને ચીરીને નાજુક કુંપળ હવામાં લહેરાય એમ દીપોત્સવીમા દુર્ગુણોની દીવાલ ઉપર સદગુણોનો મૂક્કો મારીને અનિષ્ટોનો ભૂકો બોલાવીને શુભ  સંકલ્પો લઇ લહેરાવાનું હોય. વીતેલા વર્ષમાં જેમ જીવ્યા એનાથી બહેતર જીવવાનો નિર્ધાર જોઈએ.



દિવાળી એટલે ઉમંગ, ઉત્સાહ અને ઉજાશની ત્રીવેણી. નવા સંકલ્પો લેવાનો ઉમંગ, ભૂતકાળ ભુલી સહુને ગળે મળવાનો ઉત્સાહ અને અજ્ઞાનના અંધકારને જ્ઞાનના પ્રકાશથી રોશન કરવાનો ઉજાશ. આમ પણ સૃષ્ટિ ઉપર જીવનું આગમન થવાની સાથે પ્રકાશ અને અંધકાર, સત્ય અને અસત્ય, દુર્ગુણ અને સદગુણ, જીવન અને મૃત્યુ વચ્ચે સતત સંઘર્ષ ચાલુ જ થઇ જતો હોય છે. દિવાળીના પાંચ પર્વોના સમુહ આ સંઘર્ષમાં સત્વશીલ સત્યની સમજ સ્પષ્ટ કરતો હોય એમ લાગે. દિવાળીમાં માટીના નાનકડા કોડિયામાં સકારાત્મકતાનું તેલ નાખી તેમાં નકારાત્મકતાને ભસ્મ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવાનો હોય. દ્રઢ મનોબળ દ્વારા સોનેરી સંકલ્પોથી હિન મનોવૃત્તિ ઉપર ચક્રવર્તીની જેમ શાસન કરવાની સજ્જતા દિવાળીને સાચા અર્થમાં અજવાળવાનું કામ કરતી હોય છે.
ભારત દેશમાં તો સૌ કોઇ જાણે છે કે, ભગવાન રામે રાવણનો વધ કરીને અયોધ્યા પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ તેમના ઘરની આગળ અને માર્ગો ઉપર હારબંધ દિવડાઓ અને રંગોળીઓ કરીને પ્રભુ રામને સત્કારી આનંદ કર્યો હતો. આ વાતને જરા તાત્વિક રીતે વિસ્તૃત સ્વરૂપે ચિંતકો એ રીતે જુએ છે કે, દિવાળી એટલે અસત્ય અને અજ્ઞાનના અંધકારને સત્ય અને જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત કરતું આનંદનું પર્વ. જુદા જુદા દેશમાં નવા વર્ષના વધામણા અલગ અલગ રીતે થતાં હોય છે. હિંદુઓના હૃદયમાં ઉચ્ચ સ્થાને બિરાજતો દીપોત્સવ વિશ્વમાં ઘણી જગાએ ઉજવાય છે. ક્રિશ્ચિયનો માટે ક્રિસમસ અને બૌદ્ધો માટે ગૌતમ બુદ્ધનો નિર્વાણ દિન અત્યંત મહત્વનો હોય છે. જૈન ધર્મના છેલ્લા જૈન તીર્થંકર ઈસવીસન પૂર્વે ૫૨૭માં ઓકટોબર ૧૫માં પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. કહે છે કે, મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ આ દિવસે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય ભદ્રબાહુએ તેમના કલ્પસુત્રમા નોંધ્યું છે કે, ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં મહાવીર સ્વામીએ અમાસના પ્રથમ પ્રહરમાં નિર્વાણની સફર આરંભી તે સમયે અનેક દૈવીપુરુષો અમાસના ઘોર અંધકારને પ્રકાશથી પોખતા ઊભા હતા. દીપોત્સવનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન ગ્રંથોમાં આ રીતે જોવા મળે છે. જો કે દિવાળીનો એકદમ પ્રાચીન સંદર્ભ દીપાલિકાયાશબ્દ જીનસેન આચાર્યએ લખેલા હરિવંશ પુરાણમાં મળે છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં દિવાળીને પારિવારિક મિલનનો મહોત્સવ ગણે છે. બધા ભેગા મળી ગીતો ગાય, નૃત્ય કરે અને દેઉસી-ભઈલોરમત રમે. યુકેના કોવેન્ટ્રી, ટ્રિનીદાદ ટોબેગો, ગુયાના, કેન્યા, મોરેશિયસ, ટાન્ઝાનિયા, થાઈલેન્ડ, યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુએસએમાં દિવાળી ઉજવાય છે. જો કે ભારત અને શ્રીલંકામાંથી મોટી સંખ્યામાં લોકો અલગ અલગ દેશમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયા હોઈ દિવાળીની ઉજવણી આ દેશોમાં પણ મોટા પાયે થવા લાગી છે.
દિવાળીમાં હૃદયના ઉંડાણમાંથી સત્યના ઉજાશને બહાર ખેંચી કાઢી નબળાઈઓને ખંખેરીને આનંદના આકાશમાં ઉડવાનું હોય છે. કવિ અનિલ ચાવડા કહે છે કે,  ‘સૌની ભીતર પડ્યો હોય છે, એક ચમકતો હીરો, ચાલો શોધીએ ભીતર જઈને, ખુદની તેજ-લકીરો, ભીતર ભર્યું છે અજવાળું ન ઝળહળીએ કેમ ? આ વખતે તો સ્વયં પ્રગટીએ ચાલો દિવાળી જેમ...

ધબકાર :
જીવનને સમજવા પાછળ જોવું પડે અને જીવનને જીવવા માટે આગળ જોવું પડે.




No comments:

Post a Comment