પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 26 November 2019

જે ખુદ્દાર છે એ ક્યારેય ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ નથી કરતો


જે ખુદ્દાર છે એ ક્યારેય ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ નથી કરતો


નજર મેં ખ્વાબો કી
બિજલીયાં લે કર ચલ રહે હો
તો જીંદા હો તુમ
જો અપની આંખો મેં હૈ
હૈરાનિયાં લે કર ચલ રહે હો
તો જીંદા હો તુમ

                                                                      -      જાવેદ અખતર

અમદાવાદના લૉ ગાર્ડન પાસે બે મિત્રો પાણી પુરી ખાઇ રહ્યાં હતાં. ત્યાં એક બાર-પંદર વર્ષનો છોકરો આ બે મિત્રો પાસે આવીને ઉભો રહ્યો. એના થેલામાં રમકડા હતાં. એ છોકરો આ રમકડા વેચવા માટે આવ્યો હતો. આ બન્ને મિત્રોને રમકડા લેવા માટે છોકરાએ કહ્યું. છોકરાની પરિસ્થિતિ જોતા બન્ને મિત્રો સમજી ગયા કે, છોકરો ખુબ જ ભુખ્યો છે.
એક મિત્રએ કહ્યું, ‘ બેટા રમકડું તો નથી જોઇતુ પણ તું પાણી પુરી ખાઇ લે. તને ભુખ લાગી હોય એવું લાગે છે. ‘
પેલા બાળકે જવાબ આપ્યો, ‘ સાહેબ, હું ભિખારી નથી. રમકડું વેચીને પૈસા લઇશ. ‘
પેલા મિત્રએ પુછ્યું, ‘ કેટલાનુ એક રમકડું છે. ‘
બાળકે કહ્યું, ‘ કોઇ પણ રમકડું લો, પચાસ રૂપિયા ‘
પેલા મિત્રએ તરત જ બે રમકડાં લઇ લીધા અને ૧૦૦ રૂપિયા બાળકને આપ્યા. પછી કહ્યું, ‘ હવે તો તું અમારી સાથે પાણી પુરી ખા. તું અમારો મિત્ર થઇ ગયો છે.’
બાળકે કહ્યું, ‘ હા, પણ મારા પૈસા હું જ આપીશ.’
પાણીપુરી ખાતા ખાતા બાળકને આ મિત્રએ પુછ્યું, ‘ અમે જ્યારે તને પહેલાં ખાવા માટે કહ્યું ત્યારે તે કેમ ન ખાધું ?’ ત્યારે બાળકે ખુબ સરસ જવાબ આપ્યો, ‘ સાહેબ, એકવાર ખેરાતમાં ખાવાની આદત પડી જાય પછી એ જીવનભર નથી છુટતી. ખેરાતના મિષ્ટાન કરતાં ખુદ્દારીની રોટી વધુ પ્યારી લાગે છે.’ નાના બાળકની વાત આ મિત્રને એટલી અસર કરી ગઇ કે, એણે બાળકે આપેલા પેલા રમકડા એના બેડરૂમમાં પ્રોમિનંટ જગા ઉપર લટકાવીને રાખ્યા જેથી રોજ એ જુએ અને પેલા બાળકની ખુદ્દારીની કહાની હમેશા તાજી રહે.
માણસના જીવનમાં સતત-નિરંતર એક યુદ્ધ ચાલતું રહે છે. આ યુદ્ધ પોતાના વિચારો અને ખુદ્દારીના ખોંખારા સાથેનું હોય છે. જેની પાસે પોતાની જાતની ખુદ્દારીને સમજવાની શક્તિ છે એ આ યુદ્ધ આસાનીથી જીતી જાય છે. માણસની પોતાની પાસે જે છે, એ શ્રેષ્ઠ છે એટલી ખુદ્દારીપૂર્વકની સમજ એના જીવનનું ઉત્તમ પાસું છે. જ્યારે વ્યક્તિ માનસિક રીતે નક્કી કરી લે છે કે, એની હિંમત અને મહેનતની ખુદ્દારી છે એટલે એને કોઈ વાતની ખોટ નથી ત્યારે આખી શ્રૃષ્ટિ એ વ્યક્તિની બાહોમાં આવી જતી હોય છે.
થોડા સમય પહેલાં સચિવાલયના મીના બજારમાં પાંચ-સાત અધિકારીઓ તેમના રૂટીન શિડ્યુલ પ્રમાણે ચા પીવા બેઠા હતા. સામાન્ય રીતે આ અધિકારીઓ મીના બજારમાં ખુલ્લા વાતાવરણમાં સરકારી કામના વિવિધ પાસાઓની ચર્ચા સમીક્ષા કરતાં. પરંતુ એ દિવસે અચાનક એક લાંબો, પાતળી કાઠીનો આધેડ જેવો લાગતો વ્યક્તિ હાથમાં થેલી લઈ આ અધિકારીઓના વૃંદ પાસે પહોંચી ગયો. એણે કહ્યું, ‘સાહેબ બુટ પોલીસ કરાવવી છે?’
અધિકારીઓ પૈકી એક જણે આ વ્યક્તિની સામું જોયું અને પૂછ્યું, ‘પોલીસ તો નથી કરાવવી પણ તમારે ચા-નાસ્તો કરવો હોય તો કરી લો.’
પેલા વ્યક્તિએ કહ્યું, ‘ના, મને એવો ચા-નાસ્તો ન ખપે.’
પેલા અધિકારીએ તરત તેના પોલીસ કરેલા બુટ કાઢી ફરી પોલીસ કરવા આપ્યા. બીજા અધિકારી મિત્રોએ પણ એમના બુટ પોલીસ કરવા આપ્યા. વાતમાંથી વાત નીકળતા આ વ્યક્તિએ કહ્યું કે, એ મહેસાણાથી ગાંધીનગર આવે છે. એની ઉંમર ૭૦ વર્ષની છે. એને મહેનત કરીને જ ખાવાનું ગમે છે એટલે ક્યારેય મફત કોઈની પણ ખેરાત એ નથી લેતા.
આ અધિકારીઓ મનોમન આધેડની વાત ઉપર આફરીન પોકારી ગયા. પ્રકૃતિ ક્યારેય કોઈ બાબતમાં ઉતાવળ કરતી નથી. દરેક વસ્તુ તેના નિયત સમયે સરસ રીતે પૂર્ણ થઈ જતી હોય છે. સવારે સૂર્યના તાજા કિરણનો સ્પર્શ થતાં રાતભર ભીડાઈને રહેલી પુષ્પની પાંદડીઓ નિયત સમયે જ ખુલી જતી હોય છે. ચાઈનીઝ ચિંતક લાઓ-ત્સે કહે છે કે, દરેક મોટા અને મહાન કાર્યોની શરૂઆત નાના નાના કાર્યોથી જ થતી હોય છે. ખુદ્દારી સાથે સ્વયં ઉપર વિશ્વાસનું સંગીત બ્રહ્માંડનું સૌથી કર્ણપ્રિય સંગીત છે. બીજાના વિચારોને સમજવા અને બીજાને જાણવા એ જ્ઞાન છે પરંતુ સ્વયંને જાણી એ મુજબ કાર્ય કરવું એ સૌથી મોટું આત્મજ્ઞાન છે.
વિચારવિહીન અને નિરર્થક અંધકારભર્યાં લાંબા જીવન કરતાં અર્થસભર સમજદારી સાથેનું ખુદ્દારીપૂર્વક જીવાયેલું ટૂંકુ જીવન વધુ આનંદ આપે છે. સાચા દ્રષ્ટિકોણથી આગળ વધનારા માટે પોતે નક્કી કરેલી સીમાઓના બંધનો આપોઆપ દૂર થઈ જતા હોય છે. પરિશ્રમપૂર્વક જોખમ ઊઠાવી ખુદ્દારીથી મહેનત કરનારાને સાહસનો અદભુત આનંદ મળે છે. જે કોશિષ કરે છે એની માટે કશું અસંભવ છે જ નહીં.
જેની પાસે ખુદ્દારી છે અને મહેનત કરવાની તૈયારી છે, એ ક્યારેય ભવિષ્યવાણી નથી કરતા. જે ભવિષ્યવાણીમાં વિશ્વાસ રાખે છે એની પાસે વાસ્તવિક મહેનતની ખુદ્દારી નથી હોતી. એની પાસે કોઇ નિશ્ચિત પરિણામ પણ નથી હોતુ. સામાન્ય રીતે બીજા ઉપર કાબુ મેળવવા માટે દુનિયા આખી મથામણ કરતી હોય છે. બીજા ઉપર કાબુ મેળવવો એ તાકાત છે પણ પોતાના ઉપર કાબુ મેળવી આગળ  વધનારા સાચા શક્તિશાળી છે. વ્યક્તિ જ્યારે પોતાની ખુદ્દારી સાથે મહેનત કરતો હોય છે ત્યારે એની કોઈની સાથે સ્પર્ધા નથી હોતી. તે પોતાની જાતથી સંતુષ્ટ થઈ જતો હોય છે.

ધબકાર :
દુશ્મનની ખુદ્દારીને નવાજવી જોઇએ, માથું કોઇનું પણ હોય એ કદમોમાં સારુ ન જ લાગે.




No comments:

Post a Comment