પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 21 January 2020

શિકાગોની ધર્મ પરિષદમાં ‘અમેરિકાના બહેનો અને ભાઇઓ’ સંબોધન બાદ સ્વામી વિવેકાનંદે શું કહ્યું ?


શિકાગોની ધર્મ પરિષદમાં અમેરિકાના બહેનો અને ભાઇઓ
સંબોધન બાદ સ્વામી વિવેકાનંદે શું કહ્યું ?

આજે ઉતરાયણનુ પર્વ. ગાંધીનગર સહિત આખુ ગુજરાત આ તહેવાર રંગેચંગે મનાવી રહ્યું છે. પરંતુ આજથી બે દિવસ પહેલા ૧૨ જાન્યુઆરીનો એક અવિસ્મરણીય દિવસ હતો. આ દિવસ એટલે ન ભુલી શકાય કે, ભારતની આધ્યાત્મિક ચેતના અને જ્વલંત ષ્ટ્રપ્રેમનો પંથ કંડારનારા યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીનો એ પ્રાગટ્ય દિન છે. સંવત ૧૯૧૯ના પોષ વદ સાતમ એટલે જાન્યુઆરી તા. ૧૨, ૧૮૬૩ સોમવારના રોજ સૂર્યોદયની છ મિનિટની વાર હતી ત્યારે નરેન્દ્ર નામનો આધ્યાત્મિક ચેતનાનો સૂર્યોદય થયો. ચાળીસ વર્ષથી પણ ઓછા જીવનકાળ દરમિયાન દેશદાઝની પ્રચંડ શક્તિનો નાદ જગાવવાનું અને ભારત સહિત પશ્ચિમી દેશોમાં હિન્દુસ્તાનની આધ્યાત્મિક ચેતનાનો શંખ ફૂંકવાનું ભગીરથ કાર્ય સ્વામીજીએ કરી બતાવ્યું છે. કોલકતાના સિમુલિયા નામના પરામાં રહેતા દત્ત પરિવારમાં નરેન્દ્રનાથનો જન્મ થયો. દત્ત કુટુંબ ગર્ભશ્રીમંત તો હતું જ સાથે સાથે સમાજમાં સારી પ્રતિષ્ઠા પણ ધરાવતું હતું. સિમુલિયાનું આ દત્ત પરિવાર દાનવીરતા, સ્વતંત્ર ક્યાલો અને શિક્ષણમાં અગ્રેસર હતું.



વિશ્વની વિચાર ચેતના જાગૃત કરવા જે આત્મા અવતરતો હોય છે એની પ્રતિભા બાલ્યાવસ્થાથી પરખાઇ જતી હોય છે. પ્લેટો, એરિસ્ટોટલ, સિકંદર કે સીઝરની માફક નરેન્દ્રનાથની ભાવિ મહત્તાની ઝાંખી શૈશવકાળમાં જ સૌને થવા લાગી હતી. બાળ નરેન્દ્રને નાનપણથી જ સન્યાસીઓ પ્રત્યે સદભાવ અને અગમ્ય ખેંચાણ રહ્યું. ઘણી વાર એમના મિત્રોને એ કહેતા કે, ‘ એક જ્યોતિષીએ મારો હાથ જોઈને કહ્યું છે કે, હું ભવિષ્યમાં સન્યાસી બનવાનો છું.’ આમ કહી એ પોતાની હસ્તરેખાઓ ઉત્સાહપૂર્વક મિત્રોને બતાવતાં. મનુષ્ય જાતિએ આધ્યાત્મિક અને તત્વજ્ઞાનની દિશામાં સાધેલી પ્રગતિનો સર્વગ્રાહી ચિતાર આપતી ચર્ચા સભાઓ અને પરિસંવાદોના આયોજનની વિચારધારા ૧૮૮૯ની ગ્રિષ્મ ઋતુમાં ચાર્લ કેરોલ બોનીના મગજમાં ઉદભવી. આ વિચારને અમેરિકનોએ આનંદથી આવકાર્યો. ચાર્લ્સના અધ્યક્ષપદે એક કમિટીની રચના થઈ. વર્ષ ૧૯૯૦માં તડામાર તૈયારીઓ આરંભાઈ. આખી દુનિયા દરેક ધર્મના પ્રતિનિધિઓને પરિસંવાદમાં ભાગ લેવા આમંત્રણો મોકલાયા. તારીખ ૧૮ ઓકટોબર, ૧૯૯૩ સુધીમાં જુદા જુદા વિષયો ઉપર વિશદ ચર્ચા-વિચારણા કરતી વીસ જેટલી પરિષદો યોજવામાં આવી.
અંતે શિકાગોની આર્ટ ઈન્સ્ટિટ્યૂટના વિશાળ મકાનમાં  હોલ ઓફ કોલમ્બસનામના ભવ્ય ખંડમાં તારીખ ૧૧મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ સવારે ૧૦ વાગે વિશ્વ ધર્મ પરિષદનું વિધિવત ઉદ્ઘાટન થયું. પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત એવા ચાર હજાર પ્રેક્ષકો હોલ ઓફ કોલમ્બસમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એવી શાંતિથી બેઠાં હતાં. ૧૦૦ ફૂટ લાંબા અને ૧૫ ફૂટ પહોળા મંચ ઉપર ચાર્લસ બોની અને કાર્ડિનલ ગીબન્સના નેતૃત્વમાં બબ્બેની હારમાં વિશ્વભરમાંથી પોત પોતાના દેશના પોષાકમાં સજ્જ થઈને આવેલા અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓ મંચ ઉપર દાખલ થયા. મંચ ઉપર મૂકવામાં આવેલી ખુરશીઓમાં પ્રતિનિધિઓએ તેમનું આસન ગ્રહણ કર્યું. આ દ્રશ્ય ખૂબ અદભુત અને રમણીય હતું. આ ભવ્ય સભામાં સ્વામી વિવેકાનંદજીએ વક્તવ્ય આપવાનું હતું. બપોર સુધીની પ્રથમ બેઠકમાં આઠ પ્રતિનિધિઓએ ટૂંકા પ્રવચનો કર્યા. સવારની બેઠક પૂરી થઈ ત્યારબાદ બપોરની બેઠકમાં ચાર પ્રતિનિધિઓએ તેમના વિચારો વ્યક્ત કર્યાં. બધા જ પ્રતિનિધિઓ તૈયાર કરેલા ભાષણો જ વાંચી ગયા હતાં.
સ્વામી વિવેકાનંદે કાગળમાં કોઈ વિચારો લખ્યા ન હતાં. હૃદયના ઊંડાણમાંથી સ્વામીજી એમના ગહેરા અને પહાડી અવાજમાં જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે સભામાં સન્નાટો વ્યાપી ગયો. ડો. બેરોઝે સ્વામીજીનો પરિચય આપી વક્તવ્ય માટે નિમંત્રીત કર્યા. સ્વામીજીએ દેવીની સ્તુતિ કરીને એમના વક્તવ્યની શરૂઆતમાં સૌથી પહેલાં અમેરિકાના બહેનો અને ભાઈઓ...’ સંબોધન કરીને તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે આખી સભાએ તાળીઓના ગડગડાટથી તેમના આ શબ્દોને વધાવી લીધાં. સામાન્ય રીતે અમેરિકન સજ્જનો અને સન્નારીઓના સંબોધનથી ટેવાયેલા હોય ત્યારે સ્વામીજીના આ શબ્દોથી બધાં પ્રભાવિત થઈ ગયા. શિકાગોની ધર્મ પરિષદમાં લગભગ સવાસો વર્ષ પહેલાં સ્વામીજીએ આપેલા પ્રવચનની અક્ષરશઃ વિગતો જાણવી રસપ્રદ એટલા માટે થઈ પડે કે, પશ્ચિમના દેશમાં વિશ્વભરના પ્રબુધ્ધો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભારતીય હિન્દુ સનાતન ધર્મની વિચારધારાનો સૌપ્રથમ ઝંડો સ્વામી વિવેકાનંદે શિકાગોની ભૂમિમાં ગાડ્યો હતો. શિકાગોની ધર્મપરોષદમાં સ્વામીજીના પ્રથમ વક્તવ્યના ભાવાનુંવાદને માણવા જેવું છે.
અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !
તમે અમારું જે ઉમળકાભર્યું અને હાર્દિક સ્વાગત કર્યું છે તેનો પ્રત્યુતર આપવા માટે ઊભા થતાં મારુ હૃદય એક અવર્ણનીય આનંદથી ભરાઈ જાય છે. જગતના પ્રાચીનમાં પ્રાચીન સન્યાસી સંઘને નામે હું તમારો આભાર માનું છું. સર્વધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું. તમામ વર્ગો અને સંપ્રદાયોના લાખો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું.
આ વ્યાસપીઠ ઉપર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ હું આભાર માનું છું, કેમ કે પૂર્વમાંથી આવેલા પ્રતિનિધિઓના ઉલ્લેખ કરતાં તેઓએ તમને કહ્યું કે દૂર દૂરના દેશોમાંથી આવેલા આ લોકો જુદા જુદા દેશોમાં સહિષ્ણુતાની ભાવના પહોંચાડવાનું માન મેળવવાનો દાવો સબળ રીતે આગળ ધરી શકે એમ છે. જે ધર્મો જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું ગૌરવ હું અનુભવી રહ્યો છું. સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં અમે માનીએ છીએ. એટલું જ નહીં, પરંતુ સર્વ ધર્મો સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ થાય છે કે, હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે, જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. મને એ વાત કહેતાં અભિમાન થાય છે કે, યહૂદી લોકોના એક પરમશુદ્ધ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે. જે વર્ષે અત્યાચારી રોમન લોકોએ એમના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાખ્યા, તે જ વર્ષમાં એ વર્ગ દક્ષિણ ભારતમાં આવ્યો અને અમારી વચ્ચે વસ્યો. મને ગર્વ થાય છે કે મારો એક એવા ધર્મમાં જન્મ થયો છે કે જેણે મહાન જરથોસ્તી પ્રજાના અવશેષને આશ્રય આપ્યો છે અને હજી તેઓ સ્વમાન સાથે ત્યાં વસી રહ્યા છે. બંધુઓ ! તમારી સમક્ષ હું એક સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું ઉચ્ચારણ કરું છું કે જે સ્તોત્રનું હું છેક બાળપણથી પારાયણ કરતો આવ્યો છું અને ભારતના લાખો મનુષ્યો દરરોજ એનું પારાયણ કરી રહ્યા છે - ‘જે પ્રમાણે ભિન્ન ભિન્ન મૂળમાંથી ઉદભવ પામેલી જુદી જુદી સરિતાઓના પ્રવાહો અંતે એક સાગરમાં એકત્રિત થાય છે, તેવી રીતે હે પ્રભો ! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકાચૂંકા ભાસે, છતાં એ બધા તારી પાસે જ પહોંચે છે.’
અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્યતમ સભાની આ બેઠક, ગીતાએ પ્રબોધેલા પેલા અદભુત સિદ્ધાંતનું જગત સમક્ષ સ્વતઃ એક સમર્થન એક ઉચ્ચારણ બની રહેલ છે કે મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે.’ પંથવાદ, ધર્માન્ધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખત એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતાં અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે. અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ આત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.’
સામાન્ય રીતે સ્વામીજીના શિકાગોમાં અપાયેલ આ અવિસ્મરણીય વ્યાખ્યાનના પ્રથમ ચાર શબ્દો અમેરિકાના ભાઈઓ અને બહેનો...’ અને ત્યારબાદ હોલમાં ગૂંજેલી તાળીઓ સિવાય એમણે હૃદયની સ્પર્શતી સચ્ચાઈ અને દ્રષ્ટિબિંદુની વિશાળતા જે શબ્દોમાં અભિવ્યક્ત કરી તેનો મોટાભાગના લોકોને ખ્યાલ નથી. સ્વામીજીના આ પ્રથમ પ્રવચન પછી શિકાગોમાં એ હોલ ઓફ કોલમ્બસમાં ક્રમશઃ ભીડ સતત વધતી ગઈ હતી. તારીખ ૧૯મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામીજીએ હિન્દુ ધર્મ વિશે પોતાના ખ્યાલો અભિવ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તેમણે ભારત વર્ષને ધર્મની તાત્કાલિક જરૂર નથી એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. ૨૬ સપ્ટેમ્બરના રોજ એમણે બૌદ્ધ ધર્મ એટલે હિન્દુ ધર્મની પૂર્તિએ વિષય પર વ્યાખ્યાન આપ્યું.
સ્વામીજીના ધર્મ પરિષદમાં અપાયેલા વ્યાખ્યાનો બાદ ધ ન્યૂયોર્ક હેરોલ્ડ વર્તમાન પત્રએ લખ્યું હતું કે, ‘સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મપરિષદની સૌથી મહાન વ્યક્તિ છે તેમાં શંકા નથી. એમનું વક્તવ્ય સાંભળ્યા પછી એવું લાગે છે કે, ભાવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મુર્ખાઈ ભર્યું છે.’ ‘ધી બોસ્ટન ઈવનીંગ ટ્રાન્સપોર્ટના શબ્દો હતાં, ‘એમના વિચારોની ભવ્યતા તેમજ એમના વ્યક્તિત્વથી પાર્લામેન્ટમાં તેઓ ખૂબ પ્રિય થઈ પડ્યાં. વ્યાસપીઠ ઉપરથી તેઓ માત્ર પસાર થાય તો પણ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવામાં આવતાં હતાં.  હજારો લોકોના પ્રાપ્ત થતાં સન્માનને કોઈપણ મિથ્યાભિમાન વગર બાળસહજ પ્રસન્નતાથી તેઓ સ્વીકારે છે.’ વિશ્વ ધર્મપરિષદના વિજ્ઞાન શાખાના પ્રમુખ મેરવિન મેરી નેલ લખે છે કે, ‘ધર્મ પરિષદ ઉપર તેમ જ મોટાભાગના અમેરિકનો ઉપર હિન્દુ ધર્મના જેટલો ઊંડો પ્રભાવ બીજા કોઈ ધર્મએ પાડ્યો નથી. અને તેમાં પણ હિન્દુ ધર્મના સૌથી વિશેષ અગત્યના અને લાક્ષણિક પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ હતાં. હકીકતની દ્રષ્ટિએ તો ધર્મ પરિષદમાં સૌથી વધુ પ્રિય અને પ્રભાવશાળી પુરુષ સ્વામી વિવેકાનંદ હતાં એમાં કોઈ શંકા નથી.

ધબકાર :
જો તમે પવિત્ર હોવ, જો તમે સુદ્રઢ હોવ તો તમે એકલા પણ આખી દુનિયા બરાબર છો. સર્વશક્તિ તમારી અંદર છે એમાં તમે શ્રદ્ધા રાખો. ઊઠો, જાગો, ઊભા થાવ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવો.’ – સ્વામી વિવેકાનંદ.






No comments:

Post a Comment