મારે શું અને મારું શુંની ભાવનામાંથી બહાર આવવુ
પડે
ઓકટોબર, તારીખ ૨ ગાંધીબાપુના તાજેતાજા હેપ્પીવાલા બર્થડેના
દિવસના બે પ્રસંગો માનસપટ પરથી કેમેય કરીને ખસતા જ નથી. સવારનો સૂરજ ઉગતાં જ કેટલાક
લોકોએ ગાંધીજીને યાદ કરીને ઈસ્ત્રી ટાઈટ ખાદીના કપડાં પહેરીને ‘વૈષ્ણવજન તો તેને
રે કહીએ...’ જેવા ભજનો ગાયા અને ઘણાં બધાંએ તલ્લીન થઈને આ ભજનો સાંભળ્યાં. આ સીન
શહેરના મોટા ભાગના જાહેર સ્થળોએ સવારના ફેઝમાં જોવા મળ્યો.
બરાબર આઠ-દસ કલાક પછી સાંજે નવ-સાડા નવના સુમારે શહેરના
હૃદયસમા વિસ્તાર સેન્ટ્રલ વિસ્ટાના ટાઉનહોલ તરફના પ્રવેશદ્વાર પાસે બે ચમચમાતી
લકઝુરીયસ કારમાંથી કેટલાક યુવાનો હાથમાં મોટા પેક્ટ્સ અને બેવરેજીસના ટીન લઈને
ઉતરી પડ્યા. ઉભી રહેલી બન્ને કારમાંથી ખૂબ લાઉડ પોપ મ્યુઝીક વાગતું હતુ. આ
ગ્રુપમાં ચારેક યુવાન છોકરીઓ પણ હતી. જીન્સ, ટી-શર્ટ અને શોર્ટસ જેવા આધુનિક
વસ્ત્રોમાં સજ્જ આ યુવક-યુવતીઓએ સેન્ટ્રલ વિસ્ટાના ગેટની બાજુની સરસ મજાની પોર્ચ
જેવી ખુલ્લી જગ્યામાં એમની સાથે લાવેલા પેકેટો ધડાધડ ખોલવા માંડ્યા.
આ વૃંદના એક યુવાન મિત્રનો ગાંધી જયંતિના દિવસે જ બર્થ-ડે
હતો. બધા મિત્રો એના બર્થ-ડેના સેલિબ્રેશન માટે કેક, પીત્ઝા, પેપ્સી ટીન વગેરે
લઈને આવ્યા હતા. નાચતાં ગાતાં કેકનું કટીંગ કર્યું અને મન મુકીને બધાએ કેક,
પીત્ઝા, સેન્ડવીચીઝ અને પેપ્સીની જ્યાફત ઉડાવી. એક-બે કલાક ધીંગા મસ્તી કરીને
યુવાનોનું આ ગ્રુપ ગાડીઓને સેલ મારતુંકને ફુરર કરતું ઉડી ગયું. અને પાછળ રહ્યાં
કેક, પીત્ઝા, સેન્ડવીચીઝના ખોખા, પેપ્સીના ખાલી ટીન અને મસ્તીમાં ઉડાડેલાં ખાદ્ય
સામગ્રીના ટુકડાં... સો-દોઢસો મીટર વિસ્તાર દોઢ-બે કલાક પહેલાં ચોખ્ખો ચણક હતો તે
હવે ગંદો, ભદ્દો અને વરવો લાગતો.
આ એજ જગા છે જ્યાંથી હાર્ડલી બસો ત્રણસો મીટરના અંતરે
વિધાનસભાની સામે ગાંધીજીની વિશાળ પ્રતિમા છે. અને સોએક મીટરના અંતરે આંબેડકરજી અને
સરદાર સાહેબનુ સ્ટેચ્યુ છે. જો કે, પ્રતિમા હોય કે ન હોય સ્વચ્છતા અને સંસ્કાર એ
સ્વાભાવિક રીતે સ્વભાવમાં વણી લેવાની બાબત છે. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી એટલા
માટે હતા કે, સ્વચ્છતાનો સીધો સંબંધ આરોગ્ય અને જનસુખાકારીના વિકાસના પરિમાણો સાથે
છે. બાપુએ ખૂબ દીર્ઘદ્રષ્ટિપૂર્વક સ્વચ્છતાને આઝાદીની લડત સાથે જોડીને એને સૌથી
અગ્ર હરોળમાં મૂકીને જનતાના હૃદયમાં ઊંડે સુધી ઉતારવા માટેનો એક મહત્વપૂર્ણ મુદ્દો
બનાવ્યો હતો.
આજે ગુજરાતના બીજા એક દીર્ઘદ્રષ્ટા સપૂત અને ભારતના
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભરમાં સ્વચ્છતાની ઝૂંબેશ આરંભી
છે ત્યારે મનમાં સહેજે વિચાર ઉદભવે કે, આઝાદીના સાત-સાત દાયકાઓ પછી પણ
પ્રધાનમંત્રીશ્રીને સ્વચ્છતા માટે દેશમાં ઝૂંબેશ ચલાવવી પડે ! વર્તમાન સમાજ માટે આ
એક વિચારવા જેવી બાબત નથી ? શું સ્વચ્છતા માત્ર સરકારની જ જવાબદારી હોય ? દેશના
નાગરિકો તરીકે સૌ કોઈની આ ફરજ ન હોવી જોઈએ ? આઝાદી પછી કદાચ દેશમાં પહેલીવાર કોઈ
પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા માટે અભિયાન ઉપાડીને સંન્નિષ્ઠ પ્રયાસનો ઉપક્રમ
આરંભ્યો હશે. સ્વચ્છતા અભિયાન સરકારી છે અને સરકાર એ ચલાવશે એવી વિચિત્ર પ્રકારની
માનસિકતામાંથી લોકોએ બહાર આવી જવું પડશે.
પ્રસંગનો આનંદ ચોક્કસ હોય અને આનંદ કરવો જ જોઈએ. જાહેર
સ્થળોએ ભાઈબંધ દોસ્તારો સાથે મળીને મોજમજા અને મસ્તી કરવી જ જોઈએ અને જીવનનો સાચો
આનંદ પણ મિત્રો સાથે મોજમાંથી જ ટપકતો હોય છે, પરંતુ સ્વચ્છતાની ગરીમા જળવાય અને
મોજ થાય તો તેનો અર્થ સરે. સેન્ટ્રલ વીસ્ટાના ગેટ પાસેનો કચરો જોઈને બીજા દિવસે
મોર્નિંગ વોકમાં આવેલા એક સજ્જને હૈયા વરાળ કાઢતાં એમના મિત્રને કહ્યું, ‘આ છોકરાઓ
એમના ઘરમાં પણ આમ જ ગંદકી કરતાં હશે ને ?’ એમના મિત્રએ કહ્યું, ‘આ લોકો બિલકુલ
સંસ્કારહીન છે, કંઈ સમજ જ નથી...’ આમ બબડતાં બન્ને સજ્જનોએ મોર્નિંગ વોક માટે ચાલતી
પકડી. અહીં સમજવાની વાત એ છે કે, યુવાનોને ભાંડીને ચાલતી પકડવાની જગ્યાએ આ બે
સદગૃહસ્થોએ ગેટવાળી જગાએ પડેલો કચરો એકઠો કરી ટોપલીમાં નાખ્યો હોત તો તેમની ટીકા
લેખે લાગી હોત. સો વાતની એક વાત એ છે કે, સ્વચ્છતા પ્રતિ જાગૃતિ કેળવાય તેમજ કોઈએ
કરેલી ગંદકીને હસતા મોંએ સાફ કરવાની માનસિકતા પણ કેળવાય એ જરૂરી છે.
રસ્તા સાફ કરવા એ તો સરકારનું કામ છે, પાર્ક-ગાર્ડનમાં ગંદકી
દૂર કરવી એ સરકારે જોવાનું, સરકારી માલ-મિલકતોમાં ચોખ્ખાઈ એ સરકારની ફરજ છે... આવા
બેઢંગા ખ્યાલો લઈને ક્યાં સુધી ચાલ્યા કરવાનું ? ‘સુખનું સ્ટેશન’ પુસ્તકનો એક
પ્રસંગ યાદ આવે છે. મેકસિકોના નિર્જન દરિયા કિનારે એક વ્યક્તિ ચાલતો જતો હતો. તેની
નજર દૂર એક વ્યક્તિ ઉપર પડી. આ વ્યક્તિ વારે ઘડીએ નીચો નમીને કશુક ખોબામાં ભરીને
દરિયામાં નાખતો હતો. આ વ્યક્તિને કુતુહલ થયું. નજીક જઈને તેણે જોયુ તો એક મેક્સિકન
ખોબામાં સ્ટાર ફીશને ઉંચકીને દરિયામાં નાખી રહ્યો હતો. આ વ્યક્તિએ મેક્સિકનને
પૂછયું ‘દોસ્ત, આ શું કરી રહ્યો છે ?’ ત્યારે પેલા મેક્સિકને જવાબ આપ્યો, ‘અત્યારે
ઓટનો સમય છે અને દરિયામાંથી તણાઈ આવેલી સ્ટાર ફીશને પાછી પાણીમાં નહીં નાખું તો એ
બચી નહીં શકે ? ‘ આ જવાબ સાંભળીને પેલા વ્યક્તિને આશ્ચર્ય થયું એણે કહ્યું કે, ‘ હજારો
સ્ટારફીશ તણાઈને આવી છે એમાં થોડી ઘણી સમુદ્રમાં પાછી નાખવાથી શો ફેર પડશે ? ‘
ત્યારે પેલા મેક્સિકન સજ્જને એ વ્યક્તિની સામે જ વધુ એક સ્ટાર ફીશને દરિયામાં
નાખીને કહ્યું ‘આ એકનો તો ફેર પડશે ને...’ સ્વચ્છતાની બાબતમાં પણ આવી સ્પીરીટ
ડેવલપ થવી જોઈએ. ગાંધીજી અને પ્રધાનમંત્રીજીએ તો સ્વચ્છતાની ચેતના જગાવી આપી. પણ
એને વધુ પ્રજ્જવલિત કરી સ્વભાવમાં વણવાની જવાબદારી પ્રત્યેક ભારતવાસીની છે.
નિયમો બનાવી એની કડક અમલવારી થાય ત્યાં સુધી ધકેલપંચા દોઢસો
ચલાવ્યે જવાની આપણી માનસિકતા હોય છે. મારે શું ? અને મારું શું ?ની ભાવનામાંથી
બહાર આવવુ પડે. જાહેર સ્થાન અને માર્ગો ઉપર કાગળ, કચરો, થુંકીને કે પાનની પીચકારી
મારી ગંદકી કરનારને રૂ. ૧૦,૦૦૦નો દંડ અને છ મહિનાની સખત કેદની સજા જેવો કાનૂન બને
અને એનો કડક અમલ થાય પછી જ સ્વચ્છ ભારત બની શકે ?
વધતી જતી વસતી ચોક્કસ સમસ્યા છે ? પણ આ જ સવાસો કરોડ
ઉપરાંતની વસતી સ્વચ્છતા માટેની નાની-નાની બાબતો સ્વયં શિસ્તથી અપનાવે તો ‘ અભિશાપ
‘ ‘ આશીર્વાદ ‘ બની જાય. ‘ શેરી વળાવી સજ્જ કરુ, ઘેર આવો ને, આંગણીએ ફૂલ વેરું,
મારે ઘેર આવોને....’ જેવા અનેક આપણાં લોકગીતો અને શાસ્ત્રોમાં સ્વચ્છતાનો મહિમા
ગવાયો છે. સ્વચ્છતાના ઉપદેશો અને સંદેશાઓ, પુસ્તકો-શાસ્ત્રો કે ધર્મગ્રંથોના પાને
અને ગુરુઓના મુખે હોય એના કરતાં જનજનના સ્વભાવમાં હોય એની પરિણામલક્ષિતા વધુ હોય છે.
માનસિક, શારીરિક, બૌદ્ધિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાની સમજ વધે તો એના
નક્કર પરિણામો મળે.
જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા કહેતાં કે, સ્વચ્છતાની પરિભાષા
એ મનની પવિત્રતા છે. દેશને સાફ-સુથરો રાખવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની
નથી. જેમ મારું ઘર અને મારું આંગણું ચોખ્ખું રાખવાની માનસિકતા હોય છે. એવી જ લાગણી
આગળ વધારીને મારું રાજ્ય, મારો દેશ સ્વચ્છ હોય એ માટેની મારી સંપૂર્ણ જવાબદારી છે,
એવી ભાવના પ્રત્યેક દેશવાસીના મનમાં વિકસિત થાય ત્યારે ૩૬૦ ડિગ્રીએ બદલાવ આવે.
ગાંધીજી તો ત્યાં સુધી કહેતાં કે, સ્વચ્છતા ન રાખવાની બાબત એ એક મહાન પાપ છે.
ગંદકી ફેલાવવા માટે હંમેશા તૈયાર રહેવું એના કરતાં સ્વચ્છતા માટે સજ્જતા કેળવાય
અને તત્પરતા રહે ત્યારે સમજવું કે હવે સાચી દિશા પકડાઇ છે.
ધબકાર
:
દુનિયાને ગંદી કહેતા પહેલાં પોતાના ચશ્મા સાફ કરી લો.

No comments:
Post a Comment