પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 15 November 2016

સુગંધ પાંખડીઓની દીવાલ ભેદીને પવન ઉપર સવાર થઈને બહાર ચાલી નીકળી.

સુગંધ પાંખડીઓની દીવાલ ભેદીને પવન ઉપર સવાર થઈને બહાર ચાલી નીકળી
-     પુલક ત્રિવેદી
નિત્યક્રમ અનુસાર ડો. તેજસ સાંજે ચારેકના સુમારે ઓસરીમાં એમની લાડકી દીકરી કાવ્યા સાથે હિંચકા ઉપર ઝૂલતા હતા. છઠ્ઠા ધોરણમાં ભણતી કાવ્યા ડેડી સાથે હિંચકે હિંચકતા બિસ્કીટ ખાતી હતી અને ડેડી સાથે અલક મલકની વાતો કરતી હતી.
ડો. તેજસ ભાવનગરમાં વિદ્યાનગર સોસાયટીમાં રહે. એ દિવસે કોર્પોરેશન સત્તાવાળાઓએ તેમના ઘરની બહાર કોઈક લાઈન નાખવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. પાવડા, કોદાળી સાથે મજુર ભાઈ-બહેનોની ટીમ લાઈનનુ ખોદકામ કરવા લાગી પડી હતી.
પિતાજી સાથે હિંચકતી કાવ્યાની નજર તેના ઝાંપામાંથી બહાર રસ્તા ઉપર ખોદકામ કરતા મજુરોના નાના-નાના બાળકો ઉપર પડી. દસ-અગિયાર વર્ષની કાવ્યા એ જોઈને ડો. તેજસને તદ્દન સ્વાભાવિક રીતે જ પૂછે છે, ડેડી, આ સામે માટીના ઢગલા ઉપર બેઠેલા બાળકોને હું બિસ્કીટ આપું ? ડો. તેજસને નાનકડી કાવ્યાનો આ પ્રશ્ન સાંભળી મનોમન આનંદ અને સંતોષ બે પ્રકારની લાગણી થઈ.
ડો. તેજસને તરત જ કહ્યું, ‘‘હા બેટા જા જલ્દી જઈને તેમને બિસ્કીટ આપ’’ મજૂરોના બ બાળકો કાવ્યા એ આપેલા બિસ્કીટ મોજથી ખાવા લાગ્યા. કાવ્યા એમને જોઈને રાજી થઈ. એણે એ બધાના નામ પૂછ્યા અને થોડીવાર એ બાળકો સાથે માટીમાં રમી.
દરમિયાનમાં ડો. તેજસ ઘરથી નજીકની દુકાનમાંથી બિસ્કીટના વધારે પેકેટ્સ લઈ આવ્યા અને દીકરીને આપીને કહ્યું, ‘‘લે બેટા હવેથી રોજ તું આ નવા સાથીઓને તું જ્યારે બિસ્કીટ ખાય ત્યારે આપજે.’’
ડો. તેજસ અને એમની લાડલી દીકરી કાવ્યાનો આ નાનકડો પ્રસંગ ઘણું બધું કહી જાય છે. જીવનના ઘડતરમાં કેટલીક બાબતો હૃદયમાંથી સંસ્કારીતા બનીને સદાય વહેતી હોય છે. ડો. તેજસ કે તેમના પત્ની રોજ ગરીબ બાળકોને જમવાનું કે બિસ્કીટ આપતા ન હતા. આમ છતાં અચાનક કાવ્યાએ ગરીબ બાળકોને બિસ્કીટ વહેંચવાનો ડેડી પાસે વ્યક્ત કરેલો વિચાર ભીતર વહેતી સંસ્કારીતાની સરવાણી છે.
ડો. તેજસે જ્યારે આનંદ અને સંતોષની મિશ્રિત લાગણી વ્યક્ત કરી તેની પાછળનું તત્વ હતું, વર્તમાનમાં ઘડાતું તેમની દીકરીનું જીવન અને તેમને થઈ રહેલું તેનું તાદ્રશ્ય દર્શન.
આમ તો જીવન એક એક સેકંડરૂપી ઈંટોથી રચાતી ઇમારતનુ માળખુ છે. જીવનમાં માત્ર એક જ  કાળ અગત્યનો છે, અને એ છે ‘વર્તમાનકાળ’. ભૂતકાળ વીતી ગયો છે. ભવિષ્ય હજી આવવાનો બાકી છે.
સાચું જીવન જ ‘વર્તમાન કાળ’ છે. અને વર્તમાન કાળની એક એક ક્ષણને સંપૂર્ણ સજાગ બનીને સાક્ષીભાવપૂર્વક જીવંત બનાવાય એ જરૂરી છે.
દીકરી કાવ્યા અને ડેડી ડો. તેજસનો પ્રસંગ નાનો પણ પદાર્થ પાઠ ખૂબ મોટો. જીવન નાની નાની ક્ષણનો વિરાટ સરવાળો છે. નાના લાગતા પ્રસંગોના સમજપૂર્વક સાચવેલા ખજાનાથી જીવન માલામાલ બનતું હોય છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની એક સરસ વાત છે.  એક ફુલ કહે ‘મારી સુગંધને હું મારી પાસે તીજોરીમાં રાખીશ. હું એનો એકલો માલિક. તે કોઈને નહીં આપું. સુગંધને મારા ઘરની બહાર નહીં નીકળવા દઉં. સુગંધ કેદ રાખવા એણે પાંકડીઓની દીવાલ રચી. પણ સુગંધ તો રોકી રોકાઈ નહીં. એ તો પાંખડીઓની દીવાલ ભેદીને પવન ઉપર સવાર થઈને બહાર ચાલી નીકળી.
ફુલ માથુ હલાવી, હાથ વીંઝીને બુમો પાડે, અરે મારી સુગંધ, મારી દીકરી તું પાછી આવ, તારે કશે જવાનું નથી, તું મારા ઘરમાં રહે બેટા... હું તને ખૂબ સાચવીને રાખીશ.’’
ફુલે સુગંધને કહ્યું પણ તેનો જવાબ પવને આપ્યો. ‘‘અરે ભાઈ ફુલ, જે સુગંધ તારું ઘર છોડીને બહાર નીકળી છે તેને લોકો તારી સુગંધ કહે છે. તું જેને ઘરમાં પુરી રાખે તેને કોઈ સુગંધ નથી કહેવાનું.’’
ફુલની આંખ ઉઘડી ગઇ અને એણે સુગંધને કહ્યું, ‘‘જા બેટી, મા-બાપનું નામ રોશન કર...’’
હૃદયના ઊંડાણમાં પડેલી સંસ્કારીતા વર્તમાનની કેડે બેસીને સમાજને સુસંસ્કૃત કરે છે. નાનકડી કાવ્યાના એક નાનકડા કદમે ‘વર્તમાન’ સુસંસ્કૃત હોવાનો જડબેસલાક પુરાવો આપ્યો.

ધબકાર – ‘‘પ્રત્યેક ઉમદા કાર્ય પ્રથમ અશક્ય જ લાગે છે’’ – થોમેસ કાર્લે

http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/12072016-6.pdf

No comments:

Post a Comment