પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 15 November 2016

‘શીલવાન’ની જેમ ‘શિસ્તવાન’નું સ્વરૂપ ગૌરવપૂર્ણ હોય છે.

‘શીલવાન’ની જેમ  ‘શિસ્તવાન’નું સ્વરૂપ ગૌરવપૂર્ણ હોય છે
-     પુલક ત્રિવેદી
       એક નાનકડો સાત-આઠ વર્ષનો છોકરો પપ્પાની આંગળી પકડીને પબ્લિક ગાર્ડન વોક-વે ઉપર જતો હતો. ચાલતાં ચાલતાં છોકરો ચોકલેટ ખાતો હતો. ચોકલેટ પૂરી થઈ જતાં ચોકલેટનુ ‘રેપર’ તેણે રસ્તા પર ફેંકી દીધું. આગળ ચાલતાં ચાલતાં અચાનક પિતાના હાથમાંથી આંગળી છોડાવી બાળક પચાસેક મીટર પાછળ તેણે ફેંકેલું ચોકલેટનું રેપર દોડતો જઈને ઉપાડી બાજુમાં રાખેલા કચરાના ડબ્બામાં વ્યવસ્થિત રીતે નાંખે છે.
       સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયેલો આ વિડીયો સ્વચ્છતાનો સંદેશ અસરકારક રીતે આપે છે. પરંતુ તેથી પણ વધુ જોરદાર રીતે જીવનમાં શિષ્તના તત્વને જાનદાર રીતે ઉજાગર કરે છે. જીવનમાં કરવા જેવા અનેક મજાના અને સરસ કાર્યો છે પણ એમાં સાચું શિસ્તને ગમે એવું અને આનંદ થાય એવું ‘સતચિત્ આનંદ’ કાર્ય કયું હોઈ શકે ? આવા સાચા આનંદના કાર્યો શોધવા ન પડે, જો જીવન ‘શિસ્ત’ના સોને મઢેલું હોય. સંયમ પ્રત્યેક કાર્યફળનુ મૂળ છે. અને શિસ્ત સંયમથી ઘડાય છે. સામાન્ય રીતે કોઈપણ પછડાટનું મૂળતઃ પરિણામ સંશોધિત કરવામાં આવે તો તેમાં શિસ્તનો અભાવ જ જણાશે. જ્યાં શિસ્ત નથી ત્યાં સફળતા સંભવી જ ન શકે.
       શિસ્તનું તો એવું છે જ્યાં સુધી તેનું મજબુત અમલીકરણ થતું નથી, જ્યાં સુધી તે વ્યવહારનો ભાગ બનતું નથી ત્યાં સુધી અઘરી-અઘરી લાગે. જ્યારે શિસ્ત જીવનમાં વણાઈ જાય તો એની સૌરભ આપોઆપ મીઠી અને મધુરી લાગે.
       ‘શીલવાન’ની જેમ  ‘શિસ્તવાન’નું સ્વરૂપ ગૌરવપૂર્ણ હોય છે. શિસ્તવાનનું તેજ ગજબનું હોય છે. એક શિસ્ત જીવનમાં આવે તો એની પાછળ ઢગલાબંધ શિસ્ત આવતી થઈ જાય. જીવન વધુ ને વધુ બહેતર બનતું જાય. જેમ કે, એક શિસ્તવાન નિયમ એવો લેવાય કે, સૂર્યોદય પહેલાં સવારે વહેલો ઉઠીશ તો વહેલાં સુવાનું, સવારે વાંચનનું, કુદરના ખોળે ચાલવાનું વગેરે વગેરે શિસ્તબદ્ધ નિયમો એની પાછળ ખુદબખુદ ચાલ્યા આવે.
       જીમ રોહન નામના એક વિદ્વાન ચિંતકે સરસ કહ્યું છે કે, લક્ષ્યાંકો અને તેને પરિપૂર્ણ કરવાના પ્રયાસો વચ્ચેનો મજબૂત સેતુ એટલે ‘શિસ્ત’.
       એક એક કાર્યોને તેની આગવી શિસ્ત હોય છે. કુદરતની પણ સીમા રેખા શિસ્ત છે. માફકસરનો પવન આહલાદ આપે. અને તોફાની પવન ખાનાખરાબી સર્જે. શિસ્ત અને સંયમને દોરે ગુંથાયેલું આકર્ષક ઘરેણું છે. જ્યાં અમર્યાદપણું આવે ત્યાં  અતિ ગતિ હોય. જ્યાં ધરી છૂટે ત્યાં ‘અશિસ્ત’નો જન્મ અને ‘શિસ્ત’નો લોપ અને જ્યાં અશિસ્તનતો જન્મ ત્યાં નુકસાન, ખાનાખરાબી, પછડાટ, નિષ્ફળતા જ હોય.
       ‘શિસ્તવાન બનવાનું ‘સ્વીમીંગ’ કરવા જેવું છે. તરવાનું શીખવા જઈએ એટલે પહેલાં પહેલાં બહું અઘરું લાગે. નાકમાં, મોમાં બધે પાણી ભરાય. શરીરના સંતુલનની કોઈ સીમા રેખા ન રહે. પણ એકવાર પાણીમાં કેટલા પગ હલાવવાં અને કેવી રીતે હાથ ફેરવવા એ આવડી જાય પછી તરવાનું સહેલું લાગે. તેમાં પણ અતિ અગત્યની વાત શ્વાસ લેવાની અને છોડવાની છે. તરતી વેળા કેટલો ક્યારે અને કેવો શ્વાસ લેવો એની રીધમ અને સંયમ સૌથી અગત્યનું પાસું છે.
       પિતા, શિક્ષક, માતા, બોસ અને નેતા આ પાંચ ભૂમિકામાં ‘શિસ્ત’ સૌથી અગત્યનું છે જો આ પાંચ શિસ્તવાન હોય તો પ્રેરણાદાયી પુષ્પોનો મઘમઘાટ સમગ્ર સંસારમાં વ્યાપે જ વ્યાપે. બોસ કચેરીમાં સમય પહેલાં આવે નિર્ધારીત કાર્યો સમયસર ‘ડેડલાઈન’ સાથે પૂરા કરે તો તેના સાથીઓમાં પણ સમયપાલનની શિસ્ત આપોઆપ ખીલવાની જ છે.
       એક વાતની પ્રતિતી સદા સર્વદા થતી હોય છે કે ‘શિસ્ત’ એ ભીતરથી વિકાસાવવાની કલા છે. ભીતરથી પ્રગટેલી શિસ્તનું ઓજસ જીવનને ભર્યું ભર્યું અને સંપૂર્ણ બનાવી દે છે, જે આપણને આપણી જાત અને જગત સાથે તન્મયતાથી જોડી આપે છે.
       હે પ્રભુ મને તું પૈસા, પ્રતિષ્ઠા અને પ્રેમ આપે તેના કરતાં શિસ્ત આપજે, સત્ય આપજે.- વિદ્વાન ચિંતક હેનરી થોરોના આ જાણીતા વિચારને શિસ્તની પરીભાષામાં થોડુંક ઢાળીએ તો એમ કહી શકાય કે,  હે ઈશ્વર મને તું પૈસા, પ્રતિષ્ઠા અને પ્રેમ આપે તેના કરતાં ‘શિસ્તનું સૌંદર્ય આપજે’

ધબકાર – ‘પુસ્તકની જેમ બીજી આવૃત્તિનો અવકાશ હોત તો આ જીવનની બધી જ ભૂલો સુધારી લેત’ – જોન ફલેર




http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/05072016-6.pdf

No comments:

Post a Comment