પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 8 March 2019

અટલજી લિજ્જતદાર ખીચડી બનાવતા : સરસ્વતી પુત્ર અટલજીની જાણી અજાણી વાતો


અટલજી લિજ્જતદાર ખીચડી બનાવતા : સરસ્વતી પુત્ર અટલજીની જાણી અજાણી વાતો
જુલાસાતા જેઠ માસ, શરદ ચાંદની ઉદાસ ;
સિસકી ભરતે સાવન કા, અંતર્ઘટ રીત ગયા ;
એક બરસ બીત ગયા, સીકચો મે સિમટા જગ ;
કિંતુ વિફલ પ્રાણ વિહગ, ધરતી સે અંબર તક ;
ગુંજ મુક્તિ ગીત ગયા, એક બરસ બીત ગયા ;
પથ નિહારતે નયન, ગિનકો દિન પલ છિન ;
લૌટ કભી આયેગા, મન કા મીત ગયા ;
એક બરસ બીત ગયા...
જ્યારે જ્યારે નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે અટલજીની આ અદભુત રચના હર હંમેશ સ્વાભાવિક રીતે જ યાદ આવી જાય. ૧૯૨૪માં ડિસેમ્બર તા. ૨૫ના રોજ જન્મેલા અટલ બિહારી વાજપેયીજીની ગત સપ્તાહમાં જ જન્મજયંતિ ગઈ. હિન્દુસ્તાનમાં સરસ્વતિ પુત્રનો જન્મદિન સુશાશન દિવસતરીકે આખો દેશ ઉજવે છે. એવું તો શું હતું આ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીના સાત સંતાનોમાંના આ એક સંતાનમાં કે, એમને આખો દેશ આદર સાથે સ્નેહ આપે છે ? અને જ્યારે ઓગષ્ટ-૧૬, ૨૦૧૮માં અટલજી અનંતની સફરે ચાલી નિકળ્યા ત્યારે આખો દેશ ચોધાર આંસુએ રડ્યો. શું એ ભારતના એક બહુ મોટા નેતા હતા એટલે, કે પછી પારવફુલ વ્યક્તિ હતા એટલે દેશ શોકમાં સરકી ગયો કે પછી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી હતા એટલે, સત્તા પક્ષના શિર્શસ્ત નેતા હતા એટલે લોકો રડ્યા ! ના. ભારતની જનતાની વ્યથિત થવાની ગ્રેવીટી આટલી હોવાનું કારણ આમાંથી એક પણ ન હતુ. હિન્દુસ્તાનના આવામને તો અટલજીના રૂપમાં મળેલાં એક સીધા સાદા કલ્પનાશીલ કવિ હૃદયના ઉત્તમ વિચારક, સર્જક અને વકતા ગુમાવ્યાનું જબરજસ્ત દર્દ હતું. એ એવા સરળ વ્યક્તિ હતા કે, એક બાળકને પણ એમને મળતા સંકોચ ન થતો.
અટલજી ગુસ્સામાં કશું કહે તો પણ એમની વાણીની મૃદુતા પ્રેમ કરતાં હોય એવી લાગતી. એ એક એવું વિશાળ હૃદય ધરાવતા કે, દુશ્મનને પણ પ્રેમથી ગળે મળી શકતા. એમની આંખો નાના બાળક જેવી નિર્મળ અને સ્વચ્છ હતી. કદાચ એટલે આખા હિન્દુસ્તાનના પ્રત્યેક વ્યક્તિના એ હૃદય સમ્રાટ બની એમના દિલો દિમાગ ઉપર રાજ કરતા હતા.
ગ્વાલિયરની લક્ષ્મીબાઈ કોલેજ કે જે એ જમાનામાં વિક્ટોરીયા કોલેજ તરીકે ઓળખાતી, એમા અટલજી અભ્યાસ કરતા એ વખતની વાત છે. ધોરણ પાંચમાં હતા ત્યારે શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં અટલજીએ ભાગ લીધો. આગલી રાત્રે તેમણે એમના તર્ક એક કાગળમાં લખીને ગોખી નાખ્યા. બીજા દિવસે જ્યારે બોલવા ઊભા થયા ત્યારે એ ગોખેલું ભુલી ગયા. બસ, એ દિવસે બાળ અટલે નક્કી કરી લીધું કે, હવે ક્યારેય એ ગોખેલી વાત જાહેર વક્તવ્યમાં નહીં બોલે. અને પછી જન્મ થયો દેશના પ્રખર વકતા, ચિંતક અને શબ્દોના સ્વામી અટલ બિહારી વાજપેયીનો.
નાનાજી સાથેની એમની પ્રથમ મુલાકાત પણ અનાયાસે થઈ હતી. અટલજી મોટાભાઈના લગ્નમાં અણવર બનીને ગોરખપુર ગયા હતા. લગ્ન વેળા એમનો પરિચય જનસંઘના આધાર સ્તંભ અને પ્રખર રાષ્ટ્રવાદી નાનાજી દેશમુખ સાથે થયો. એ મુલાકતમાં નાનાજીના વિચારોની અટલજી ઉપર અસર થઇ હતી. ત્યાર બાદ ૧૯૩૯માં અટલજીએ જનસંઘની વિચારધારા અપનાવી. ઇતિહાસ ગવાહ છે કે, ગાંધીજીની હિંદ છોડોચળવળમાં પણ યુવા અટલે સક્રિયતા દાખવી હતી. પરિણામે આગ્રાની જેલમાં ૨૪ દિવસ બચ્ચા સેલમાં એમને રહેવું પડ્યું હતું.
અટલજી ગ્વાલિયરની કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા તો ખરા પણ એ કાયદા સ્નાતકનું ભણવાનું વચ્ચેથી છોડીને વિનયન અનુસ્નાતક બન્યા. ૧૯૪૮માં આઝાદીની ચળવળ એના ચરમ ઉપર હતી ત્યારે અટલજીએ વારાણસીના સમાચારનામના એક અખબારમાં પત્રકાર તરીકે પણ અસરદાર કામ કર્યું હતું.
કોમળ હૃદય ધરાવતા અટલજી હંમેશા કહેતા કે, ‘મેરે પ્રભુ, મુઝે ઇતની ઊંચાઈ કભી મત દેના, ગૈરો કો ગલે ના લગા શકું એસી રૂખાઈ કભી મત દેના...’ અટલજી એક અચ્છા કુક પણ હતા. ૧૯૫૦ની વાત છે. દિલ્હીમાં અટલજી અને અડવાણીજી એક સાથે એક જ રૂમમાં રહેતા. અટલજી ઘણીવાર લિજ્જતદાર ખીચડી રાંધતા અને અડવાણીજી સાથે બન્ને જણા એ ખીચડી આરોગતા. રોજ રાત્રે હુંફાળુ દૂધ પીવાનું અટલજીને ખૂબ ગમતું. એ શોખથી રોજ રાત્રે ગરમ દૂધ પીતા. વાદળી-નીલો રંગ એમને ખૂબ પ્રિય. મનાલી, અલ્મોડા અને માઉન્ટ આબુ એમના પસંદગીના પર્યટન સ્થળ રહ્યાં છે.
અટલજી શબ્દોના સ્વામી તો હતા જ સાથે સાથે સંગીતના પણ જબરા શોખીન હતા. ૧૯૭૫માં આવેલી ફિલ્મ ખુશ્બુનુઓ માઝી રે અપના કિનારા નદિયા કી ધારા હૈ...’ ગીત એમને ખૂબ ગમતું. ગુલઝાર સાહેબની અદભુત શબ્દરચનાને પંચમદાએ (આર.ડી. બર્મન) સંગીત મઢેલુ. આ ગીતને જ્યારે કિશોરદાએ સ્વરબદ્ધ કર્યું પછી પંચમદા ખુબ જ ભાવવિભોર બની ગયા હતા. બર્મનદાને હદયમાં ઉંડે સુધી એટલી બધી અસર થઇ ગઇ કે, દીવાલ ઉપર હાથ પછાડી પછાડીને નાના બાળકની જેમ એ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા.
ટુટે હુએ સપનો કી કૌન સુને સિસકી, અંતર કી ચીર વ્યથા પલ કો પર ઠિઠકી, હાર નહી માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું, ગીત નયા ગાતા હું...’ જેવી અમર રચનાથી જિંદાદિલ મિજાજનો પરિચય કરાવતા અટલજીને ૧૯૯૨માં પદ્મ વિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા. મજબૂત મનોબળવાળા અટલજીએ ભયંકર આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પોખરણમાં અણુ ધડાકો કરી વિશ્વને હિન્દુસ્તાનની લશ્કરી તાકાતથી અવગત કર્યું. ૧૯૯૯માં કારગીલમાં પાકિસ્તાનીઓને ખદેડી ઓપરેશન વિજયપાર પાડનારા મુત્સદ્દી સ્ટેટસમેન તરીકે અટલજી દુનિયાભરમાં છવાઈ ગયા હતાં.
દરેક ભારતીયની છાતી ગજ ગજ ત્યારે ફુલી કે, જ્યારે ૧૯૭૭માં અટલજી વિદેશ મંત્રી હતા ત્યારે એમણે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિન્દીમાં વક્તવ્ય આપ્યું. આ એ વ્યક્તિ હતા કે, જેમણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર વિશ્વ સમસ્તમાં રાષ્ટ્રભાષાનું માથું ગૌરવભેર ઊંચુ કર્યું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિંદુસ્તાનના કોઇ રાજપુરૂષે રાષ્ટ્રભાષામાં સંબોધન કર્યું હોય એવો આ સૌ પ્રથમ કિસ્સો હતો. દેશના લાખો ગામોને સડક પરિવહનથી જોડીને ગ્રામ્ય જીવનમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક બદલાવ માટે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડકયોજનાનો નક્કર પાયો નાખનાર અટલજી જ હતા.
પ્રખર રાષ્ટ્રભક્ત, ભાષા અને વાણી ઉપર જબરજસ્ત પક્કડ ધરાવતા અટલજીની પ્રખર રાષ્ટ્રભક્તિ એમની રચના ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ...’માં સુપેરે અભિવ્યક્ત થાય છે. મજબૂત મનોબળના સ્વામી અટલજી કહેતા કે, ‘બાધાયેં આતી હૈ તો આયે, ઘિરે પ્રલય કી ઘોર ઘટાયેં, પાવોં કે નીચે અંગારે, સિર પર બરસે યદી જ્વાલાયેં, નિજ હાથો મેં હંસતે હંસતે આગ લગાકર જલના હોગા, કદમ મિલા કર ચલના હોંગા...’ સાક્ષાત સરસ્વતી પુત્રને ભારતના બીજા એક પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજી ગુરુદેવકહેતા. કવિ હૃદય, કલ્પનાશીલ વ્યક્તિત્વ અને અટલ મનોબળ ધરાવતા મુઠ્ઠી ઊંચેરા વાજપેયીજીને એમની જન્મ જયંતિના અવસરે અને નવા વર્ષના આગમન વેળાએ એમની જાણી અજાણી વાતો મમળાવીને શત શત વંદન. સ્નેહાળ, મૃદુ, લાગણીશીલ, સારસ્વત, કલ્પનાશીલ, નિડર લીડર, પરિશ્રમી, પ્રખર રાષ્ટ્રભક્ત, અજાતશત્રુ, ચિંતક, વિચારક વગેરે જેવા વિષેશણોથી અટલજીને નવાજવામાં આવે ત્યારે એ વિષેશણોની ગરીમા ઉચકાતી હોય છે. અટલજી દેશના એક કુશળ પ્રધાનમંત્રી ઉપરાંત તેમની પ્રભાવશાળી વાણી, મેઘાવી વિચારધારા, પ્રબુધ્ધ વ્યક્તિત્ત્વ, ખુશ મિજાજ સ્વભાવ, વાત્સલ્યપૂર્ણ વ્યવહાર, સહજ વર્તન અને સાહિત્ય સર્જક તરીકે પ્રત્યેક ભારતવાસીઓના દિલો દિમાગમાં રહ્યાં છે અને સદાય રહેશે. પ્રતિવર્ષ નવા વર્ષે અટલ વિશ્વાસ સાથે અટલ વિચારો વાંચી, સમજી અને આગળ વધવા સંકલ્પબદ્ધ બનવાની ઇચ્છા થઇ આવે ત્યારે વાજપેયીજીના અદભુત વ્યક્તિત્વને સાચી ભાવાંજલી અને સ્નેહ આપ્યો કહેવાય. વર્ષ ૨૦૧૮ને ‘ગુડબાય’ અને વર્ષ ૨૦૧૯ને ‘વેલકમ’.

ધબકાર
મેં જી ભર કે જીયા, મૈં મન સે મરું, લૌટ કર આઉંગા, કૂચ સે ક્યોં ડરું...’- અટલ બિહારી વાયપેયી




No comments:

Post a Comment