પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

યુએસ, ફ્રાન્સ, બ્રિટન જેવા પશ્ચિમના દેશોમાં શાકાહારનો ટ્રેન્ડ વધતો જાય છે


જગતમાં માંસાહાર અને શાકાહાર એમ બે પ્રકારના આહાર લેતા લોકો છે. ગાંધીજીએ એમના જીવનમાં સ્વાસ્થ્ય અને આહાર વિહાર ઉપર અનેક જાગૃત પ્રયોગો કર્યા છે. બાપૂ કહેતા કે, સારુ સ્વાસ્થ્ય જ મનુષ્યની સાચી સંપત્તિ છે. સોના ચાંદીના ટૂકડા કે ધન દોલતને સંપત્તિ સમજનારા લોકો મૂરખ છે. ભોજન, પોષણ અને સ્વાસ્થ્ય આ ત્રણેય શબ્દો એક બીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. ભોજન ઉપર જ જીવનનું નિર્વહન અને સર્વકલ્યાણ નિર્ભર છે. ભોજન મનુષ્યના પ્રાણ, જીવન અને સમગ્ર અસ્તિત્વનો આધાર છે. એક સર્વવિદિત વાત એ પણ છે કે, જગતનાં તમામ લોકો રોટી, કપડા અને મકાન ત્રણ બાબત માટે આખી જીંદગી હડીયાપટ્ટી કરે જાય છે. એમાં પણ કપડા અને મકાન ન હોય અથવા નબળા હોય તો વ્યક્તિ જીવન પસાર કરી લે છે પણ ભોજન વગર જીવન સંભવ નથી. એ પણ એટલુ જ સત્ય છે કે, વિશ્વમાં અલગ અલગ પ્રકારની એટલી વાનગીઓ ઉપલબ્ધ છે કે, એ દરેકનો સ્વાદ જીવનમાં એકવાર કરવામાં આવે તો જીવન સમાપ્ત થઇ જાય પણ ડીશ એટલે કે વાનગીઓ ખતમ નહીં થાય.

ચિંતક એલૈન વોલ્ફેટના મતે જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે ભોજન પ્રેમનું સર્વોત્તમ પ્રતીક બની જતું હોય છે. જ્યોર્જ બર્નાડ શો પણ કહે છે, ભોજનના પ્રત્યેના પ્રેમથી વધુ સાચો કોઇ પ્રેમ જગતમાં હોઇ ન શકે. જ્યાં સરસ અને પર્યાપ્ત ભોજનની વ્યવસ્થા હશે ત્યાં સૌથી વધુ ખડખડાટ હાસ્યની છોળો અને આનંદની કીલકારીઓ સંભળાતી હોય છે. જેના ઉપર જીવનની આધારશીલા છે એ ભોજન કેવુ હોવુ જોઇએ ? આ પ્રશ્નનો સાદો જવાબ છે ભોજન સાત્વિક હોવું જોઇએ. પરંતુ સાત્વિક એટલે કેવું? જે ભોજન સ્વભાવને સરળ બનાવે, જીવનને સંયમીત બનાવે અને ઉદ્વેગોને દૂર રાખે એ સાત્વિક ભોજન. ચિત્તને સાચા અર્થમાં પ્રસન્નતાથી ભરી દે એ ભોજન દીર્ઘજીવન પ્રદાન કરી શકે.

ભાગવત ગીતામાં ભોજનને સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરાયું છે. આજના યુગમાં સમગ્ર દુનિયાના લોકો શુધ્ધ અને સાત્વિક ભોજનની મહત્તાને સમજીને એ દિશામાં આગળ વધી રહ્યા છે. હિન્દુસ્તાનને લાગે વળગે છે ત્યાં સુધી ભારતવર્ષમાં હિન્દુ ધર્મ જેટલો પુરાણો છે એટલો જ પુરાણો શાકાહાર છે. પ્રાચીન ગ્રીસે ઘણા દાર્શનિકો અને પ્રબુધ્ધોની ભેટ વિશ્વને આપી છે. મઝાની વાત એ છે કે, પાયથાગોરસ, પ્લેટો, પ્લુટાર્ક જેવા દાર્શનિકો અને ચિંતકોએ તેમના જીવનમાં શાકાહાર અપનાવ્યો હતો. આ ચિંતકોએ શાકાહારની સાત્વિક શક્તિઓને બરાબર પિછાણી લીધી હતી. એમણે પ્રાચીન ગ્રીસમાં શાકાહાર લેવા માટે લોકોને પ્રેરીત કરવાનું મહત્ત્વનુ કામ પણ કર્યુ હોવાના પુરાવા સાંપડે છે.

શાકાહારનો સીધો સંબંધ માનવીના સ્વાસ્થ્ય સાથે છે. વિશ્વમાં સૌથી વધુ માંસાહાર કરતુ રાષ્ટ્ર અમેરિકા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામાં અમેરિકન્સ શાકાહાર તરફ વળ્યા છે. એક સંશોધનમાં જણાવાયું છે કે, પ્રતિવર્ષ વીસ લાખ અમેરિકન્સ શાકાહાર તરફ વળી રહ્યાં છે. યુએસની રેસ્ટોરંટસ અને હોટેલ્સમાં છેલ્લા દસ વર્ષોમાં શાકાહાર વાનગીઓની ડિમાન્ડમાં બારથી પંદર ટકા જેટલો ઉછાળો આવ્યો છે. સ્પોર્ટ્સ પર્સનની જ વાત કરીએ તો છ વાર વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારો ટેનીસ ખેલાડી બોરિસ બેકર ચુસ્ત શાહાકર પસંદ કરે છે. ૫૦૦થી વધુ વિકેટો લેનારો ભારતીય બોલર અનિલ કુંબલે શાકાહારી છે. વર્લ્ડ કલાસ એથ્લિટ રૂથહેલિંચલ, મિસ્ટર અમેરિકા રોપ હિલિમન, બ્લેકબેલ્ટ રિચર્ડ એબેલ, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શુશીલ કુમાર, રોહિત શર્મા પણ શાકાહારી જ છે. આ ફેર લીસ્ટ હજુ ઘણું લાંબુ થઇ શકે એમ છે.

આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, હર્ષા ભોગલે, અનુષ્કા શર્મા, જેક્વેલીન ફર્નાન્ડિઝ, પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાએ એમના જીવનમાં શાકાહારને જ પ્રાધાન્ય આપ્યું છે. લીઓ ટોલ્સટોય, માર્ક ટવેઇન, અલ્બર્ટ આઇનસ્ટાઇન, અબ્રાહમ લિંકન જેવા ચિંતકોએ શાકાહાર પ્રતિ પ્રેરણા આપતા અનેક ઉદાહરણો એમના વક્તવ્યોમાં આપ્યા છે. શાકાહારી ખોરાકનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ડૉ. શૈલેષ મહેતાએ એમના એક મનનીય લેખમાં સરસ રીતે વ્યક્ત કર્યો છે. ડૉ. મહેતાએ રજુ કરેલા વિચારો એમના જ શબ્દોમાં અહીં મૂક્યા છે જેથી શાકાહાર અને વિજ્ઞાનનો વિષય સ્પષ્ટ થઇ શકે.

“માંસાહારી ખોરાકની આદતો સાથે જોડાયેલા ચીનના વુહાન શહેરની સી-ફૂડ માર્કેટ કે જ્યાંથી ઉદભવેલાં વિનાશક કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. પાછલા કેટલાક વર્ષોમાં સ્પેનીશ ફલુ, બર્ડ ફલુ વગેરે વિનાશકારી રોગો પણ પ્રાણીઓ કે પક્ષીઓમાંથી આવ્યાં હતા. પશ્ચિમના વૈજ્ઞાનિકો જોએલ ફુરહમન, ટી કોલીન કેમ્પબેલ, વિલિયમ કેસ્ટેલી વગેરેએ ૨૫-૩૦ વર્ષોના લાંબા વૈજ્ઞાનિક સંશોધનોથી સાબિત કર્યું છે કે, પ્રાણીજન્ય પ્રોટિન અર્થાત પ્રાણીજન્ય ખોરાકથી કેન્સર, સાંધના રોગ, કોલોસ્ટ્રોલ, હૃદયરોગ વગેરેનું પ્રમાણ વધે છે. વનસ્પતિજન્ય અર્થાત શાકાહરી આહાર પાયથોન્ચુટ્રીયન્ટ, વિટામિન, મિનરલ તથા ફાઇબરને કારણે લાભદાયક છે વળી એ રોગ સામે રક્ષણ આપનારા પણ છે.”

હવે વિશ્વના બીજા દેશોમાં શાકાહાર પ્રતિ કેળવાતી જતી પ્રીતિની વાત જોઇએ. જર્મનીની રાજધાની બાર્લીનને વીગન સીટી તરીકે ઓળખવામાં આવે છે. અહિં ૨૮થી વધુ પ્યોર વેજીટેરીયન રેસ્ટોરંટ આવેલા છે. વિશ્વના શ્રેષ્ઠ જીવવા લાયક શહેર તરીકે જાણિતા પોર્ટલેન્ડમાં ૨૦થી વધારે સ્થળો ઉપર શાકાહારી વ્યંજનો ઉપલબ્ધ છે. પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ સેનફ્રાન્સિસ્કોમાં પણ શાકાહારી રેસ્ટોરન્ટ જોવા મળી રહ્યાં છે. લંડનમાં હવે લોકો શાકાહારી આહારને વધુ પસંદ કરવા લાગ્યા છે. ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઇઝરાયેલ વગેરે ઉપરાંત મોટા ભાગના યૂરોપના દેશોમાં વધુને વધુ લોકો શાકાહાર તરફ વળી રહ્યાં છે. આની પાછળનુ કોઇ ધાર્મિક કારણ નથી બલ્કે સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત આરોગ્યનો દ્રષ્ટીકોણ છે. નેશનલ હેલ્થ પોર્ટલ ઓફ ઇન્ડિયા અનુસાર શાકાહારની ત્રણ શ્રેણી છે. એક શુધ્ધ શાકાહાર કે જે, માત્ર વનસ્પતિ આધારિત આહાર છે. બીજુ લેક્ટો વેજીટેરિયન કે જેમાં, વનસ્પતિ ઉપરાંત અને ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરાતો હોય અને ત્રીજુ લેક્ટો ઓવો વેજીટેરીયન કે જેમાં વનસ્પતિ, ડેરી ઉત્પાદનો ઉપરાંત ઇંડા આહારમાં લેવાતા હોય છે.

શાકાહાર લેનારામાં પ્રોટિનની ઉણપ હોય છે એવી એક ગેરસમજ પ્રચલીત છે. સોયાબીન, મસૂરની દાળ, ચણા, રાજમા, લીલા વટાણા આ પાંચ શાકાહારમાંથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી જાય છે. આ ઉપરાંત તલ, તરબૂચ, બદામ, પીસ્તા, કઠોળ, ઘઉમાંથી આર્યન મળે છે. મગફળી અને બદામ, પીસ્તા, કઠોળ, ઘઉમાંથી મોટા પ્રમાણમાં આયર્ન મળે છે. મગફળી અને બદામ ઝીંકના સ્ત્રોત છે. સામાન્ય રીતે જે લોકો ‘ફુડી’ છે એટલે જેમને મસ્ત જમવાનુ ગમે છે એ લોકો મઝાના અને હસમુખા
હોય છે. આપણા વેદ અને પુરાણોમાં આહારના પ્રકારો અને આહાર શૈલીની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જમવા ખાતર જમવુ અને સ્વસ્થ જીવન માટે જમવુ એ બે વચ્ચે આસમાન જમીન જેટલુ અંતર છે. ભૂખ અને ભોજન વચ્ચે સામંજસ્ય સમજાય તો સ્વસ્થ જીવનનો રાહ આસાન બની જાય.


ધબકાર : ભોજન એ જીવન સાથેની સરસ મઝાની સ્વાદીષ્ટ જપ્પી છે. સાચો પ્રેમ પેટના માર્ગેથી પ્રગટે છે.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/jan/11012022-4.pdf

No comments:

Post a Comment