પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 16 November 2016

દીપોત્સવ એટલે ખોટા વિચાર અને આચારનો કાટમાળ સાફ કરવાનો મઝાનો અવસર...

દીપોત્સવ એટલે ખોટા વિચાર અને આચારનો કાટમાળ સાફ કરવાનો મઝાનો અવસર...
                                                     - પુલક ત્રિવેદી

ગુજરાતી કેલેન્ડરનુ છેલ્લું પાનુ ફરતાની સાથે વિક્રમ સંવત ૨૦૭૨નુ વર્ષ વહી ગયું. દીપજ્યોતના ઝગમગાટ સાથે મિઠાઇ અને ફરસાણના સ્વાદને લઇને વિક્રમ સંવત ૨૦૭૩નુ વર્ષ સબરસ કહેતુ, બારશાખ ઉપર મ્હો મલકાવતુ ઉભુ છે. જસ્ટ ફોર ધ સેક ઓફ ક્લેરીટી... જરા વિચારી લઇએ કે, વિ.સં.૨૦૭૨ના આરંભે કરેલા સંકલ્પો પૈકી  કેટલાં સંકલ્પો સાકાર કરતું ગયું વિ.સં.નું વર્ષ? હીમપર્વતની ટોચથી દિવસરૂપી એક-એક હીમશિલા ઓગળીને નવા અને વધુ દેદીપ્યમાન હીમપર્વતના નિર્માણ કાર્યમાં લાગી જાય છે. ખળખળ નાદ સાથે સમયનું પાણી વહેતું જાય છે. નવા વર્ષના હીમપર્વતના ટોડલે નવા ઉમંગ, નવા તરંગ અને નવા અરમાનોની વિવિધ રંગોની રંગોળી લઈને દિપાવલીના તહેવારો થનગને છે. વેપારી બંધુઓ નફા તોટાનો હિસાબ વર્ષ પુરૂ થતાં માંડે એમ સૌ કોઇએ ગતવર્ષે લીધેલા સંકલ્પો સાકાર કરવાની દિશામાં કરેલાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને એના પરિણામોનુ આકલન કરવાનો અવસર એટલે દીપોત્સવ અને નવા વર્ષની ઉજવણી. ક્યાં હતા, ક્યાં આવ્યા અને ક્યાં જઇશુ... આ ત્રણ સવાલ અને એના જવાબ સાથે આગળ વધવાના નવા સંકલ્પ દીપોત્સવની અસલી શાન અને મજા છે. 
       સમય એક સાજ-વાજીંત્ર છે. એની સાથે તાલ મિલાવી દીપોત્સવના ટાણે ઊર્ધ્વગામી સંકલ્પનો શંખ ફૂંકી સમયના આ સાજને બખુબી લયબદ્ધ રીતે વગાડવાનો આ રૂપકડો અવસર આપણે પ્રતિ વર્ષ ઉજવવાનો હોય છે. જીવનની રંગોળીને રંગીન જરૂર બનાવવી છે, પણ એ રંગો કોઇ બીજો ક્યારેય ન પૂરે. લાલ, પીળા, જાંબલી, ભૂરા વગેરે અવનવા રંગો તો પોતે જાતે જ પૂરવાના રહે. દર વર્ષે નવા નવા સંકલ્પોના અવનવા રંગોથી આપણા જીવનની રંગોળીને રૂપકડી અને હસીન-રંગીન આપણે જાતે જ બનાવવાની હોય છે. જિંદગી એટલે માત્ર સમય પસાર કરવો એમ નહીં. જીવન સાર્થક લાગવું જોઈએ. જીવનમાં પસાર થવું અને જીવનને માણવું આ બે વાતમાં બહુ અંતર છે. જીવન તો ઉત્સવ જેવું હોવું જોઈએ. જીવનમાં ઉત્સવનો અનુભવ મનમાં શાંતિ અને સુખના બીજ ઉપર વિકસતો હોય છે, વિલસતો હોય છે.
       દીપોત્સવ તહેવારોનો મહારાજા  એટલે કહેવાય છે કે, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ એમ એક સાથે અનેક તહેવારો ઘરના બારણે આસોપાલવના તોરણ બનીને ઝૂલે છે. દીપોત્સવ એટલે દીવડાની હારના પ્રકાશનો ઉત્સવ. તહેવારોની હારમાળાનો અનેરો આનંદ એટલે દિવાળી. વિશ્વભરના હિંદુ પરિવારોમાં ઉજવાતા દીપોત્સવના તહેવારનો ઇતિહાસ પણ મજેદાર છે. ભગવાન શ્રીરામ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પરત આવ્યા ત્યારે નગરજનોએ દીવડાઓ કતારબંધ ગોઠવીને પ્રગટાવ્યા અને ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસીનો ઉત્સવ ઉજવ્યો. પ્રતિવર્ષ ઉજવાતી દિવાળીનો સંદેશ પણ એક સરસ ગુઢાર્થ સ્પષ્ટ કરી જાય છે.  શ્રીરામ એટલે સત્ય, સંસ્કાર, સંયમ અને ધર્મ જ્યારે રાવણ એટલે અસત્ય, અસંસ્કાર, અસંયમ અને અધર્મ. ઉત્સવ ઉજવવાનું કારણ એ જ કે, સત્ય ઉપર અસત્યનો વિજય. અસંસ્કારને હરાવી સંસ્કારના જયઘોષનો આનંદ. સંયમનો અસંયમને દૂર હડસેલવાના ઉપક્રમને આવકાર. અધર્મ ઉપર ધર્મની ધજા ફરફર લહેરાવવાનો ઉત્સાહ. પ્રતિવર્ષ એક નવા શુભ સંકલ્પ સાથે જ્ઞાનના પ્રકાશને હારબંધ દીવડાઓની દીપશિખાના પ્રકાશથી અજ્ઞાનના અંધકારને દૂર કરવાનો તહેવાર એટલે દીપોત્સવી.
       અંધકાર ઉપર ઉજાસના સામર્થ્યનો સ્વીકારનો તહેવાર દીપોત્સવની પહેચાન છે. ભારત ઉપરાંત ફીજી, ગુઆના, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, નેપાળ, સિંગાપુર, ત્રિનીદાદ, સુરીનેમ, ટોબાગે વગેરે રાષ્ટ્રોમાં દિવાળીના તહેવારની જાહેર રજાઓ હોય છે. દિવાળીના તહેવારની ઉજવણીની એક પરિભાષા એ પણ છે કે, દિવાળી પહેલા આખું પરિવાર ઘરના ખૂણે ખૂણાની સફાઈ કરીને આંગણાંથી માંડીને માળિયા સુધી આખું ઘર ચોખ્ખું ચણાક કરી દે છે. આ પ્રક્રિયાને અંતરના ઊંડાણથી થોડીક સમજીએ તો આ ઉપક્રમ દિવાળીના તહેવારની તાર્કિક સમજને ખૂબ સરસ રીતે સ્પષ્ટ કરી દે છે. વર્ષ દરમિયાન મનમાં પડેલા ખોટા વિચાર અને આચારના કચરાનો કાટમાળ સાફ કરી મનને ચોખ્ખું ચણાક કરવાનો અવસર એટલે દીપોત્સવનો તહેવાર.
       માણસ બધું મનથી માણવા હંમેશા તત્પર હોય, પણ મનને માંજવા પ્રતિ દુર્લક્ષ સેવે છે. મનને માંજવાની તત્પરતા ખીલવવા માટે દિવાળીમાં હૃદયપૂર્વકની સજ્જતા કેળવવાની હોય છે. ખરેખર તો સુખ અને આનંદને માણવા માટે સૌથી પહેલા દુઃખને સમજવું પડે. દુઃખને સમજીએ તો સુખના દીવડા જીવનમાં પ્રજ્વળતાં વાર ન લાગે.  સમસ્યા એ છે કે,  તકલીફોને આપણે દુઃખ સમજી લઈએ છીએ. તકલીફો સામે તાકાતથી લડવાનું છે. તકલીફોના અંધકારને હડસેલીને સમજના પ્રકાશને ઉજાગર કરવાનો છે. દુઃખને સમજીને તેને સુખમાં પરિવર્તિત કરવાની કળા એટલે જ જીવનની સાચી રંગોળી.
          સમગ્ર બ્રહ્માંડના ગુઢ રહસ્યોને સરળતાથી સમજાવતા બૃહદરણ્યકા ઉપનિષદની રૂચા દિવાળીના ઉત્સવની સાચેસાચી સમજને મન-મસ્તિસ્કમાં સ્પષ્ટ કરે છે. असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥... અર્થાત હે પરમ કૃપાળુ પરમાત્મા, અસ્ત્યના અંધકારમાંથી સત્યના પરમ ઉજાશ તરફ તું મને રસ્તો બતાવીને લઇ જા, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના અજવાશ તરફ મને તું દોરી જા, મૃત્યુમાંથી મને તું અમૃત તરફ લઇ જા...
       ઘરે ઘરેથી આવતી મઠીયા, ચોળાફળી, સુંવાળી, ઘુઘરાની સોડમ દિવાળીના વધામણાં આપે છે. નવા કપડાં, મજેદાર વ્યંજનો અને સૌ કોઈના મુખ પર સ્મિત દિવાળીની યશકલગી છે.
       આ વખતની દિવાળી વિક્રમ સંવત ૨૦૭૨ની દિવાળી આપણા સૌના મનનને જ્ઞાનની તાજગીથી તરબતર કરે, ૨૦૭૩ની નવા વર્ષની ઊષા ઊર્ધ્વગામી વિચારોના કિરણો સાથે દેદિપ્યમાન બની રહે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. સમય કોઇના માટે ક્યારેય રોકાતો નથી. નદીનું જળ ક્યારેય અટકે છે ખરુ ? સૂરજના પ્રકાશનો પ્રવાસ ન રોકાય. જે સતત વહે છે, બદલાય છે, વિકસે છે એ હંમેશા વધુ જાજરમાન, રમણીય શુધ્ધ અને સુગંધીદાર છે. નવા વર્ષની ઉષા શુભકામનાઓના સુંદર મજાના સંગીત સાથે ઊગી છે. એને પોંખીએ... પરિવર્તન સ્વીકારીએ... આગળ વધીએ... સમજ સાથે સુખ અને આનંદના રંગોની રંગોળીથી જીનનને સજાવીએ...


No comments:

Post a Comment